પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦: પત્રલાલસા
 

બસ.' સનાતને જવાબ આપ્યો.

'ઉપરાંત મારી મિલમાં હડતાલ પડતી પણ તમે આજ બંધ રખાવી એ તમારી લાયકાત કહેવાય.’ શેઠ બોલ્યા.

'ના જી. એમાં કાંઈ નહિ. આપની મિલના કેટલાક કારીગરો મારી નજીક રહે છે. તેમના એક આગેવાન સાથે મારે વાતચીત થઈ અને તેમની માગણી વાસ્તવિક લાગી; મેં તેને જણાવ્યું કે હું કુસુમબહેન સાથે અગર આપની સાથે એ વિષે વાતચીત કરીશ ત્યાં સુધી તેમણે હડતાલમાં સામેલ ન થવું. આગેવાને એ વાત કબૂલ રાખી.'

'બહુ જ સારું કર્યું. એક દિવસ અમને કેટલો નફો આપે છે તેની લોકોને ક્યાં ખબર છે ? વળી અમારે ત્યાં આજે હડતાળ નથી એ ખબર પડતાં અમારી આબરૂ કેટલી વધી જશે !' શેઠ ખુશ થતા બોલ્યા.

‘પરંતુ મજૂરોની માગણી શી છે તે તો પૂછો ? નહિ તો આજને બદલે કાલ હડતાળ પડશે.' કુસુમે કહ્યું.

'ખરું છે. એ માટે તો મેં માસ્તરને બોલાવ્યા. બોલો માસ્તર ! તમારે મજૂરો તરફથી શું કહેવાનું છે ?' મદનલાલે પૂછ્યું.

'એમણે મને કાંઈ પણ કહ્યું નથી. આપની સાથે વાતચીત કરી આપ છેવટનો લાભ શો આપશો તે પૂછવાનું માત્ર કહ્યું છે.' સનાતને જણાવ્યું.

'જુઓ, એ લોકો તો તદ્દન ફાટી ગયા છે. પૈસો અમારો અને લાભ મજૂરોને જોઈએ ? તે પણ એક વખત નહિ; એમની મરજી થાય એટલે પાછો વધારો ઊભો !' મદનલાલે પોતાની મુશ્કેલી જણાવી.

‘આપનો પૈસો ખરો, પણ એ લોકોની મજૂરી વગર આપ એ પૈસાને શું કરો ? જેટલી જરૂર પૈસાની એટલી જ જરૂર મજૂરીની.’ સનાતને શાંતિથી કહ્યું.

'અરે, મજૂરો તો બીજા મળશે. અને જુઓ ને, પંદર દિવસ મજૂરો ભૂખે મરશે એટલે એમની મેળે ઠેકાણે આવશે. પૈસા વગર ક્યાં કોઈને છૂટકો છે ?' શેઠે પૈસાનું મહત્ત્વ બતાવ્યું.

‘એક ટૂંકી વાત હું આપ સાહેબને સમજાવું. પૈસાદારની શક્તિ કેટલી? પગારદારને ભૂખે મારવાની; ખરું ?' સનાતને મૂડીવાદનું મુખ્ય બળ સમજાવ્યું.

'બરાબર.'

'હવે એ જ પ્રમાણે મજૂરો-પગારદારોની કેટલી શક્તિ તે આપણે સમજી લઈએ.'