પૃષ્ઠ:Patra Lalsa.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મજૂરી:૧૫૧
 


'શું શું કરશે, કહો જોઈએ?'

'મજૂરો ભૂખે મરે તો તોફાન અને લૂંટફાટ કરે એ વાત બાજુએ મૂકીએ, પંદર દિવસ સતત ભૂખે મરે તો તમારે તાબે થાય એ વાત કબૂલ કરીએ. પણ ધારો કે તેમને એક માસ, છ માસ કે બાર માસ સુધી ઘેર બેઠા પોષણ મળે, અને આખોય મજૂરવર્ગ સંપીને મિલમાં ન આવે તો શું થાય?'

મદનલાલ ચમક્યા. બાર માસમાં તો કરોડોની ખોટ જાય. છતાં તેમણે એ અસંભવિત વાત કાપી કાઢવા પૂછ્યું :

‘પણ એમ ઘેર બેઠાં પોષણ કોણ આપે ?'

'લોકો થોડું બચાવે, થોડું કરજ મેળવે, થોડું દાન મેળવે અને બીજું બધું કામ હલકે પગારે કરે, અને એક જ નિશ્ચય પર આવે કે દુઃખ વેઠીને પણ મિલોને તોડી પાડવી, તો ? શેઠસાહેબ ! આ વાત છેક અસંભવિત. નથી.' સનાતને શ્રમજીવીઓના બળની ઝાંખી કરાવી.

'તો પછી તમે શું કરવા માગો છો ?' શેઠે પૂછ્યું.

'આપ એક નિશ્ચય ઉપર આવી જાઓ. એકલો પૈસો જ નફો આપે છે એ વાત હવે ભૂલી જવી પડશે. આપના પૈસાની સાથે મજૂરોની મજૂરી પણ નફો મેળવવામાં જરૂરની છે એ ગ્રાહ્ય કરી લો.'

'ખરું છે.' કુસુમને સનાતનના વાદમાં સત્ય લાગ્યું.

'તે તો કામના પ્રમાણમાં પગાર આપીએ જ છીએ ને ? ક્યાં મફતનું કામ કરાવીએ છીએ ?' શેઠે જવાબ આપ્યો.

'બરાબર. કામ લઈ પગાર આપ આપો છો, પરંતુ નફો તો બધો તમે જ લઈ જાઓ છો ને ?'

‘તેમાં શું ? પૈસા તો મારા ને ! વળી ખોટમાં મજૂરો ભાગ આપવાના છે ?'

'જુઓ, શેઠસાહેબ ! માત્ર પૈસા જ નફાને ખેંચી જાય એ ન્યાય કહેવાય નહિ. કામ કરવામાં જેમ પૈસાની જરૂર તેમ મજૂરીની પણ જરૂર. હડતાલ પાડીને મજૂરવર્ગ આપને એકલા પૈસાથી જ મિલ ચલાવવાની તક આપે છે. આ નહિ તો બીજા, પણ મજૂરો તો જોઈએ જ. હવે ધારો કે જગતભરના મજૂરો એક થયા, અને તમારા પૈસે વેચાતા ન લેવાયા. આ હડતાલ તેની જ શરૂઆત છે. આપ એકલા પૈસાથી કામ ચલાવી શકશો?'

'શું હું મજૂરોને નફામાં ભાગ આપું ?'

'શેઠસાહેબ ! નફામાં એનો ભાગ નથી એમ આપ કહેશો ? નફાની સાથે નુકસાનમાંયે તેમને ભાગીદર બનાવો ને ! એ ચોખ્ખો ન્યાય.'