પૃષ્ઠ:Patra Lalsa.pdf/૨૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪ : પત્રલાલસા
 

સ્થિતિ કઈ હોય?

પરંતુ એમાં ચિતરંજન શું કરી શકશે ? સ્થિતિ પલટો કરવાની કોનામાં શક્તિ રહી હતી ? મંજરી અને વ્યોમેશચંદ્રનાં લગ્ન એ સિદ્ધ વાત હતી. મંજરી સનાતનને ચાહતી હતી એ એટલું જ સિદ્ધ હતું. લગ્ન એ ટાળી ન શકાય એવી સામાજિક ઘટના હતી. મંજરી અને સનાતન બંનેએ લગ્નમાં પોતાના પ્રેમનો ભોગ આપવો એ જ માત્ર બની શકે એમ હતું. એ ભોગ આપતાં મંજરીને ઓછામાં ઓછું દુઃખ થાય એમ કરવું એ જ માત્ર સનાતનની ફરજ હતી. મંજરીના જીવનમાંથી અદ્રશ્ય થવા સિવાય એ બની શકે એમ નહોતું. તેના જીવનમાંથી અદ્રશ્ય કેમ થવાય ? તેની આંખથી અદ્રશ્ય બનવું એ એનો પ્રાથમિક ઈલાજ. એમાં ચિતરંજનને મળવાથી વધારે શું ?

તોય તે ચિતરંજનની પાસે ગયો. દીનાનાથનું એ જૂનું મકાન. મંજરીનાં માતાપિતા ત્યાં ન હતાં, વ્યોમેશચંદ્રની સારવાર માટે તેમને ઘેર પહોંચી ગયાં હતાં.

'આવ, સનાતન !' ચિતરંજને કહ્યું.

સનાતન પોતાની જગ્યાએ બેઠો. એ જ સ્થાને તેણે મંજરીને હૃદય અર્પણ કર્યું હતું - જીવન અર્પણ કર્યું હતું. એ અર્પણ આજ નિરર્થક બન્યું હતું. મંજરીથી તેને અદ્રશ્ય થવાનું હતું.

'તારી પાછળ જ હું આવ્યો.' અબોલ સનાતનને ચિતરંજને કહ્યું.

'હું આવ્યો એની આપને શી ખબર?' સનાતને પૂછ્યું.

'દુનિયામાં કેટલાક બેવકૂફોની હું ખબર રાખતો રહું છું.'

શું સનાતન બેવકૂફ હતો ? શા માટે તેણે પત્રલેખનનો કાળ લંબાવ્યો ? તેણે વગર બોલ્યે પોતાની બેવકૂફમાં થતી ગણતરીને સંમતિ આપી.

'મને ચિંતા હતી કે તું કાંઈ વાંકું વસમું કરી બેસીશ.' ચિતરંજને વાતચીતને પોતાના પંજામાં પકડી રાખી.

'એટલે !'

'આ બે કલાકથી હું જાણું છું કે તું જતો રહેવા ધારે છે. એ માટે તો મેં રફીકનો તારા ઉપર પહેરો રાખ્યો. કહે ક્યાં જવાનો વિચાર કર્યો છે?'

'જ્યાં પગ લઈ જાય ત્યાં.'

'આજના યુવાનોને પગ જ ક્યાં છે ?'

‘પગ નહિ હોય તો જિગર તો છે જ.' સનાતનને આજના યુવાનોની