પૃષ્ઠ:Patra Lalsa.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૫ : પત્રલાલસા
 

ટીકા ગમી નહિ.

'આજના યુવાનોમાં જિગર પણ નથી.'

'જિગર હોત તો શું કરત?'

'જૂના યુગનો યુવાન હોત તો તે ગમતી સ્ત્રીને ઉપાડી લઈ ગયો હોત.'

'સ્ત્રી એ મિલકત નથી - ન હોવી જોઈએ.’

'અગર ખુલ્લે છોગે બંને ભેગાં રહેતાં હોત.'

‘બહુ જ અશિષ્ટ ! અસંસ્કૃત !'

'ખરું, પણ વધારે પ્રામાણિક. નહિ ?'

સનાતન આ વિચિત્ર પણ ખરી લાગતી વાત સાંભળી વિસ્મય પામ્યો. લગ્ન એ પવિત્ર સંબંધ છે - હોવો જોઈએ. જ્યાં તેમ ન હોય ત્યાં સુઘળ અનુકૂળતાનો એ સંબંધ છે. એ સંબંધ પવિત્ર હોય કે સગવડરૂપ હોય તો પણ તેને નિભાવી શકાય એ સારામાં સારો સંસારમાર્ગ છે. પરંતુ એવી નિભાવણીને પણ સીમા હોય છે. પવિત્રતાની - સગવડની સીમાનું ઉલ્લંઘન થાય તો પણ લગ્નસંબંધ ચાલુ રાખવો એમાં ન્યાય હશે ? ડહાપણ હશે ? નીતિ હશે ? એને લગ્નસંબંધનું નામ આપેલું ચાલુ રાખી શકાય ખરું ? સંબંધ વિચ્છેદ એ વધારે સારો માર્ગ ન કહેવાય ?

‘મંજરીને મળ્યો ?’ વિચારમાં પડેલા સનાતનને ચિતરંજને પૂછ્યું.

'હા, જી.'

'હવે એક જ જૂનો માર્ગ સૂચવવો બાકી રહ્યો.'

'શો ?'

‘પણ તે માર્ગ તમે આજના યુવાનો લઈ શકો કે કેમ એની મને શંકા છે.'

'કારણ ?'

'કારણ એટલું જ કે તમે આજના યુવકો કામી છો. લોલુપ છો. પ્રેમી નથી.'

'હું શું કરું તો પ્રેમી કહેવાઉં ?'

'કહેવા માટે પ્રેમી થવાને જરૂર નથી. પ્રેમી હોઉં તો જ પ્રેમી કહેવાજે.'

'હં. આપ શું સૂચવો છો ?'

‘મસ્ત બન; સાધુ બન; દેહથી આગળ જા; રડતો ન બેસ; બને તો મંજરીને ભૂલી જા.'