ટીકા ગમી નહિ.
'આજના યુવાનોમાં જિગર પણ નથી.'
'જિગર હોત તો શું કરત?'
'જૂના યુગનો યુવાન હોત તો તે ગમતી સ્ત્રીને ઉપાડી લઈ ગયો હોત.'
'સ્ત્રી એ મિલકત નથી - ન હોવી જોઈએ.’
'અગર ખુલ્લે છોગે બંને ભેગાં રહેતાં હોત.'
‘બહુ જ અશિષ્ટ ! અસંસ્કૃત !'
'ખરું, પણ વધારે પ્રામાણિક. નહિ ?'
સનાતન આ વિચિત્ર પણ ખરી લાગતી વાત સાંભળી વિસ્મય પામ્યો. લગ્ન એ પવિત્ર સંબંધ છે - હોવો જોઈએ. જ્યાં તેમ ન હોય ત્યાં સુઘળ અનુકૂળતાનો એ સંબંધ છે. એ સંબંધ પવિત્ર હોય કે સગવડરૂપ હોય તો પણ તેને નિભાવી શકાય એ સારામાં સારો સંસારમાર્ગ છે. પરંતુ એવી નિભાવણીને પણ સીમા હોય છે. પવિત્રતાની - સગવડની સીમાનું ઉલ્લંઘન થાય તો પણ લગ્નસંબંધ ચાલુ રાખવો એમાં ન્યાય હશે ? ડહાપણ હશે ? નીતિ હશે ? એને લગ્નસંબંધનું નામ આપેલું ચાલુ રાખી શકાય ખરું ? સંબંધ વિચ્છેદ એ વધારે સારો માર્ગ ન કહેવાય ?
‘મંજરીને મળ્યો ?’ વિચારમાં પડેલા સનાતનને ચિતરંજને પૂછ્યું.
'હા, જી.'
'હવે એક જ જૂનો માર્ગ સૂચવવો બાકી રહ્યો.'
'શો ?'
‘પણ તે માર્ગ તમે આજના યુવાનો લઈ શકો કે કેમ એની મને શંકા છે.'
'કારણ ?'
'કારણ એટલું જ કે તમે આજના યુવકો કામી છો. લોલુપ છો. પ્રેમી નથી.'
'હું શું કરું તો પ્રેમી કહેવાઉં ?'
'કહેવા માટે પ્રેમી થવાને જરૂર નથી. પ્રેમી હોઉં તો જ પ્રેમી કહેવાજે.'
'હં. આપ શું સૂચવો છો ?'
‘મસ્ત બન; સાધુ બન; દેહથી આગળ જા; રડતો ન બેસ; બને તો મંજરીને ભૂલી જા.'