પૃષ્ઠ:Patra Lalsa.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦
બુલબુલ

ખોવાયેલાંને બોલાવો : સ્વામીનો સંદેશો કહાવો :
પગ ધોવાને પાણી લાવો : ખોવાયેલાંને માટે !
ભૂખ્યાંને ભોજનમાં લાવો : તરસ્યાને દ્રાક્ષાસવ પાઓ :
પાથરજો હૈયાં થાક્યાંને : લાવો ખોવાયાં સહુને !
કલાપી

'દીનાનાથ અહીં હોય તો તને મળ્યા વગર રહે ?' ચિતરંજને જવાબ આપ્યો. પ્રશ્નના કારણો કેવાં ગૂઢ રીતે સનાતનના હૃદયમાં છૂપાઈ રહ્યાં હતાં તેની ચિતરંજનને શી ખબર પડે ? દીનાનાથને સંભારવાનું કારણ મંજરી, અને મંજરી યાદ આવવાનું કારણ પેલું સુંદર ગીત ! પ્રેમીઓના પ્રશ્નો કોણ પારખે ?

સામાન્ય વાતચીતમાં સનાતનને જરાયે રસ ન પડ્યો. દીનાનાથ ભલે અહીં ન હોય, પરંતુ આ ગીત તો મંજરી જ ગાતી હશે એમ તેને ખાતરી થવા માંડી. સુંદર ગીત ચાલ્યા જ કરતું હતું અને તેનું મધુર વાતાવરણ સમગ્ર ગૃહ ઉપર છવાઈ રહેલું હતું.

સનાતનથી રહેવાયું નહિ. હિંમત લાવી તેણે પૂછ્યું :

'આ કોણ ગાય છે ?'

‘તમે લોકો ગાયનમાં શું સમજો?' ચિતરંજને પ્રતિપ્રશ્ન કર્યો.

'કદાચ ન સમજીએ, પણ તેથી મળતો આનંદ તો અનુભવી શકીએ.'

મેના આ વાદવિવાદમાં પડી નહિ. તેણે કહ્યું:

'એને અહીં જ બોલાવી ગવરાવીએ.'

સનાતન ખુશ થયો. એ ખુશીમાં હૃદયનો કંપ પણ હતો. મંજરી જ હશે ? તોપણ હૃદય ધડકતું હતું. આજે મંજરી આટલી બધી કેમ યાદ આવ્યા કરે છે તેનું કારણ તેને સમજાયું નહિ.

હાથમાં દિલરૂબા લઈ એક છોકરીએ ઓરડામાં પ્રવેશ કર્યો.

સનાતન તેને જોતાં જ ડરી ગયો. તેનું હૃદય ધબકતું બંધ પડશે એમ તેને