કર્મ પાપના બોજ સમું છે. મારે એ બોજ હળવો કરવો જ જોઈએ. એ બોજ તળે હું દટાઈ જવા માંગતો નથી. જેમ તમારી આજ્ઞાનું પાલન કરી તમને સંતોષ દીધો, તેમ હવે આ પાપનો બોજ હળવો કરવા મારે પ્રાયશ્ચિત્ત કરવું જ જોઈશે. એ વિના હું જીવી શકીશ નહિ.’ બે હાથ જોડી સત્યવતીને વંદન કરતાં ગંભીરતા ધારણ કરતાં બોલ્યો, 'મા, મને પ્રાયશ્ચિત્ત કરવાનું બળ પ્રાપ્ત થાઓ એવી આશિષ આપો.’
સત્યવતી વેદવ્યાસ સમક્ષ ગંભીરતાપૂર્વક દૃષ્ટિ માંડી રહી. તેના મનમાં પણ રમખાણ જાગ્યું હતું. પોતાની જાત પ્રત્યે મનોમન ફિટકાર વર્ષાવતી રહી, પોતે કેવી અભાગી છે ? તેણે પેાતાના સુખ ખાતર ભીષ્મનો હક છીનવી લીધો. આજીવન બ્રહ્મચારી બનાવી સંસારસુખથી વિમુખ કર્યો. પણ ઈશ્વરને તે મંજૂર ન હોય તેમ મારા બબ્બે પુત્રો અકાળે અવસાન પામ્યા ને કુરુવંશનુ નિકંદન જવા બેઠું ત્યારે તેને સલામત રાખવા પુત્રવધૂને નિયોગનો ભોગ બનાવીને આ વેદવ્યાસ મારો ત્યજી દીધેલો દીકરો જેની મેં ક્યારેય, કદી પણ ભાળસંભાળ લીધી નથી. તેના ઘડતરમાં માતા તરીકે મારું કોઈ પ્રદાન પણ નથી. એણે તેની માતાને જોઈ પણ નથી, છતાં તેણે મારી વાત માની લીધી ને મારી ઈચ્છાનું પાલન કર્યું. હવે તેને પણ પ્રાયશ્ચિત્ત કરવાની વેળા આવી છે.
વિચારના વમળમાં ઘૂમતી સત્યવતીના ક્રોધનો આવેગ વધી પડતાં બે હાથે પોતાના ભાગ્ય પર જોરથી ઘા કરતાં ઉગ્રતાથી બબડી : 'હતભાગની ! મત્સ્યગંધામાંથી તું સત્યવતી બની. ઝૂંપડામાંથી તું મહેલમાં વૈભવ માણી રહી, પણ કેવો અધર્મ આચર્યા છે દુર્ભાગી ! એક તપસ્વીના તપોભંગ માટે તું જ જવાબદાર છે ! ને ! આના કરતાં ઝૂંપડામાં રહી, કોઈ માછી યુવક સાથે લગ્ન કર્યા હોત તો આ બળાપો તો ન હોત ને?
ઉદાસીન વદને મૂંગા મૂંગા મનોતાપમાં શેકાતી સત્યવતીને