વિદુર થોડા દિવસમાં વારણાવતની મુલાકાતેથી પાછો ફર્યો.
તેની વારણાવતની મુલાકાત વિષે દુર્યોધન અજાણ હતો. તે જાણે
નહિ તેની વિદુરે પૂરતી કાળજી લીધી હતી.
‘કહો વિદુરજી, હવે પાંડવો વારણાવત જવાની તૈયારી કરે ને?’ પિતામહ વિદુરની સમક્ષ ઉપસ્થિત થતાં પૂછી રહ્યા.
‘ભલે જાય !’વિદુરે અનુમતી આપી, પણ તેનામાં કોઈ ઉત્સાહ ન હતો. તેના ચહેરા પર ખિન્નતા હતી. તેણે વધુમાં કહ્યું, ‘પાંડવોની સાથે મારે થોડો વખત વારણાવતના રાજભવનમાં રહેવું પડશે.’
‘તમે શા માટે રહેવા જાવ?’
‘જરૂર છે, પિતામહ !’ વિદુરે આગ્રહ જારી રાખતાં કહ્યું, ત્યાં પાંડવો તદ્દન અજાણ્યા, લોકો પણ તેમને જાણે નહિ. વળી રાજભવનમાં તેમને કોઈ તકલીફ હોય તો તેનું નિવારણ કરવા પણ મારી જરૂર પડે. એટલે થોડો સમય રોકાઈને પાંડવોને ત્યાં જ બધું બરાબર ગોઠી જાય પછી હું પાછો ફરીશ.’
‘પણ ધૃતરાષ્ટ્ર હા ભણશે ?’
‘શા માટે હા ન ભણે?’ વિદુરે કહ્યું, ‘હું જાતે જ મોટાભાઈને સમજાવીશ. પાંડવો વ્યવસ્થિતપણે ત્યાં ગોઠવાઈ જાય એ માટે તેમને મૂકવા હું જવાનો છું. એમ કહી તેમની રજા લઈશ. પછી ચિંંતા ખરી ?’ પિતામહ વિદુરની બુદ્ધિપ્રતિભા પર ખુશ થયા. તેમને ખાતરી હતી કે વિદુર સમજપૂર્વકનો દાવ ખેલે છે. તેની શંકા વધુ દૃઢ થઈ હશે એટલે પાંડવોની સાથે જવાની તે તૈયારી. કરે છે.’ મનોમન પિતામહ વિદુરની પ્રસંશા કરતાં રહ્યા.
આખરે કુંતી અને પાંડવો વારણાવત જવા તૈયાર થયાં. ધૃતરાષ્ટ્રે તેમને સલાહ દીધી, ‘જો ભાભી, તમે જરા પણ ઉતાવળા ન થતાં, પાંડવોના મનમાં પાંડુના અવસાનની જે વેદના છે, જે હતાશા છે, તે દૂર થાય નહિ ત્યાં સુધી પાછા ફરવાની કોઈ