લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૬ ✽ પિતામહ
 

ઉતાવળ ન કરતાં.’ ને ઉમેર્યું, ‘હમણાં દુર્યોધનને પણ આરામ કરવા ત્યાં દોડી જવાની જરૂર નથી. હું તેને સમજાવીશ. તમે ને પાંડવો નિરાંતે ત્યાં અનુકૂળ હોય ત્યાં સુધી રહેજો.’

કુંતીની પડખે ઊભેલા યુધિષ્ઠિરના માથા પર હાથ મૂકી વાત્સલ્ય ઢોળતો હોય એમ અંધ ધૃતરાષ્ટ્ર તેને સમજાવતો હતો ‘જો દીકરા, તમે બધા સંપૂર્ણપણે સ્વસ્થ થાવ. પછી જ પાછા ફરજો. અહીં આવ્યા પછી નવા રાજ્યની રચનામાં તમને અનેક પ્રશ્નોનો સામનો કરવો પડશે. જોકે હું અને દુર્યોધન તમને બનતી બધી જ મદદ કરીશું. નવું પાટનગર પણ તમારે બનાવવું પડશે જ ને? તેની કાંઈ ચિંંતા ન કરો. બધું જ થઈ રહેશે.’

યુધિષ્ઠિરે આભારવશ વડીલની અદા રાખીને કહ્યું, ‘બધું તમારે જ કરવાનું છે ને વડીલ ? અમારા માટે તો તમારો જ સહારો છે ને કાકા ?’

‘હા, હા, હું બેઠો છું ત્યાં સુધી તમારી બધી જ ચિંંતા મારે કરવાની હોય એ હું જાણું છું.’ મુશ્કાન કરતાં ધૃતરાષ્ટ્રે વિશ્વાસ દીધો.

સૌ વારણાવત પ્રતિ કૂચ કરી રહ્યાં.

‘વિદુર, તું પણ એમની સાથે જા, તેમને નવા, અજાણ્યા સ્થાને કોઈ પરિચિતના સહારાની પ્રારંભમાં જરૂર પડે એટલે તું ત્યાં હો તો તેમને પણ થોડી રાહત રહે.

ધૃતરાષ્ટ્રે વિદુરને પાંડવો સાથે જવાની આજ્ઞા કરી.

‘જેવી આપની આજ્ઞા, મોટાભાઈ!’ વિદુરે ધૃતરાષ્ટ્રની આજ્ઞા માથે ચઢાવતાં કહ્યું, ‘હું પાંડવોની સાથે જાઉં છું. પછી પાછો ફરીશ.’

‘પાછા ફરવામાં ઉતાવળ ન કરતો. તેમનું ગોઠવાઈ જાય પછી જ ભાભીને પૂછીને પાછો ફરજે.’ ધૃતરાષ્ટ્રે સલાહ આપી.

વિદુરને પાંડવોની સાથે મોકલવાની વાત દુર્યોધનને ગમતી ન હતી. તેણે દલીલ પણ કરી, ‘કાકાને નાહક દોડાવવાની શી જરૂર