લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતામહ ✽ ૨૨૫
 

હતાશાભર્યા સ્વરે કહ્યું, ‘નહીં માને તો તેનો સર્વનાશ થશે.’

વિકર્ણ પણ હવે વધુ દલીલ કરવા ઇચ્છતો નહોતો. તેને પણ પિતામહની વેદના સમજાતી હતી. તેની આશા પિતામહની તાકાત પર હતી, પણ તેણે જોયું કે પિતામહ હવે કાંઈ જ કરી શકે તેમ નથી. કુરુવંશની રક્ષા કાજે તેણે તેના હક્કનો ત્યાગ કર્યો. લગ્નજીવન પર પ્રતિજ્ઞાનું તાળું લગાવી દીધું ને પિતામહનો હવે કોઈ પ્રભાવ જણાતો નહોતો.

વિદાય થતાં તેણે પિતામહને આદ્રસ્વરે પ્રાર્થના કરી : ‘પિતામહ, કુરુવંશના રક્ષણ માટે સૌની દૃષ્ટિ આપના પર છે. આપ જો વધુ તાકાતથી દુર્યોધન અને તેની ચંડાળ ચોકડી પર અંકુશ નહિ જમાવી શકો તો કુરુવંશનો વિનાશ કોઈ અટકાવી શકશે નહિ. દુર્યોધન પાંડવોને તેમના હક્કનું પાછું દેવા તૈયાર નહિ જ થાય. ને પરિણામે પાંડવોને આખરી માર્ગ સ્વીકારવો જ પડશે.’

તેણે પિતામહની વિદાય લીધી. પિતામહ તેની પૂંઠ પાછળ દૃષ્ટિપાત કરી રહ્યા. વિકર્ણ સાચું જ કહેતો હતો. તેમના મનમાં ઘર્ષણ જાગ્યું. પોતે જો નિર્બળ ન હોત તો દુર્યોધનની કપટ યોજના છિન્નભિન્ન કરી શક્યા હોત. જુગાર રમવા બેઠેલા યુધિષ્ઠિરનો હાથ પકડી તેને ઊભો કર્યો હોત તો આજની સ્થિતિ પેદા થઈ ન હોત, પણ પોતે જ નિર્બળ હતા. દ્રોપદીના કાલાવાલા અશ્રુભીની આંખો ને દર્દભરી વાણી પણ તેમના દિલના પત્થરને પીગળાવી શકી નહિ.

ક્રોધાવેશમાં પોતાના કપાળ પર હાથ પછાડતાં પોતાની જાતને જ જાણે ઠપકાવતાં હોય એમ બોલ્યો, ‘પિતામહ, તું તારો ધર્મ ચૂક્યો. અધર્મને, અન્યાયને, કપટજાળને તું જોતો રહ્યો. તારું ક્ષાત્રલોહી વૃદ્ધાવસ્થાને કારણે ઠંડુ પડી ગયું હશે એટલે તું બધો જ સમય મૂંગો રહ્યો. તારું રૂંવાડુ પણ ફરક્યું નહિ.’

‘પણ હવે ?’ તેમની વિચારધારા આગળ ચાલતી હતી. ‘હવે