લખાણ પર જાઓ

પૃષ્ઠ:Pitamah Prahlad Brahmabhatt.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પિતામહ ✽ ૨૫૭
 


દુર્યોધન ઊભો ઊભો પિતામહ ને અર્જુન વચ્ચેનો સંવાદ સાંભળતો હતો. તેના મનમાં પિતામહ વિષે કટુતા ઘૂંટાતી હતી.

અર્જુન પિતામહની બાણશૈય્યાની જમણી દિશા તરફ વળ્યો. બાણશૈય્યાની નજદિકની જમીનને બાણથી વીંધીને પૃથ્વીના ઊંડાણમાંથી નિર્મળ શીતળ જળનો ફુવારો ઉડતો કર્યો ને પિતામહને તે પાણીનું પાન કરાવ્યું.

દિવસોની તૃષા આમ શાંત થતાં જાણે તેમની ચેતના ફરી જાગ્રત થઈ હોય એમ તેમણે યુધિષ્ઠિરને કહેવા માંડ્યું, ‘યુધિષ્ઠિર, તમને ન્યાય દેવા માટે મેં દુર્યોધનને ઘણો સમજાવ્યો, પણ તેણે મારું સાંભળ્યું જ નહિ. હું જાણતો હતો કે દુર્યોધન કોઈની સલાહ કે શીખ સ્વીકારતો નથી. હવે ભીમના પરાક્રમે તેનો પરાજય થશે ને તે પોતે પણ મૃત્યુ પામશે.’

દુર્યોધન ત્યાં ઉપસ્થિત હતો. પિતામહ તે જાણતા પણ હતા. તેમના દિલની દારુણ વ્યથા વ્યક્ત કર્યા વિના રહી શક્યા નહિ. તેમણે દુર્યોધન પ્રતિ દૃષ્ટિપાત કરતાં કહ્યું, ‘દુર્યોધન, તને મારા વચનોથી દુઃખ થયું જ હશે, પણ શું કરું ભાઈ ! જે નિશ્ચિત્ત છે તેની જાણ કરવી એ મારી વડીલ તરીકે ફરજ છે. એટલે તને આ મૃત્યુશૈય્યા પર પડ્યો પડ્યો કહું છું. તું મારી વાતનો મર્મ બરાબર સમજી લે ભાઈ. પાંડવોની સાથે હજી પણ સુલેહ કરી લે. તેમનું જે હોય તે તેમને હવાલે કર.’ પછી નિઃશ્વાસ નાંખતા પોતાની અંતિમ ઈચ્છા વ્યક્ત કરતા હોય એમ બોલ્યા, ‘આ દેહ પડે તે પહેલાં તમે ભાઈઓ સાથે હો ને યુદ્ધની તબાહીનો અંત આવે એ જોવાની મારી ઈચ્છા છે.’

પિતામહ લાગણીનો ધોધ વહાવતા હતા, પણ દુર્યોધન જડશો ઊભો હતો. પિતામહના શબ્દો જાણે તેને સ્પર્શી જ શક્યા ન હોય એમ યથાવત મૂંગો મૂંગો ઉઘાડી આંખે જોતો હતો. પિતામહના શબ્દો તેના દિલની વેદનાને ઉત્તેજતા હતા.