પૃષ્ઠ:Prabhu Padharya.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"એમાં શું છે ?"

'બૌદ્ધ ધર્મની નિંદા અને ઇસ્લામનું પ્રતિપાદન."

"એવી ચોપડી પ્રસિદ્ધ થવા કેમ પામી ?"

"ફયાને ખબર. શું કરીએ ? કોને કહીએ ! ધર્મની અવહેલના, ફુંગીઓની બદનક્ષી. અમારા ફુંગીઓ જોયા છે ? આગના કટકા છે !"

"હા, સાંભળું છું કે વૈરાગ્યનાં વસ્ત્રોમાં તેઓ ધા છુપાવે છે."

"સાચી વાત છે, ડૉક્ટર ! અમારી ઓરતોની અતિઘણી મોટી સંખ્યામાંથી અને લગ્નસ્વાતંત્ર્યના અતિરેકમાંથી સળગેલી એક રાષ્ટ્રભક્ષી જ્વાળારૂપી આ ઝેરબાદી કોમ છે."

"નહીં, ભાઈ ! કોમનો વાંક કાઢો. વાંક દોરનારનો છે. - ધાર્મિક, રાજપ્રકરણી બેઉ પ્રકારે ઊંધી દોરવણી દેનારનો છે."

"તે હશે, પણ અમારા પૂરતાં તો અમારે પગલાં લેવાં પડશે."

"તમારી સ્ત્રીઓને શું પરજાતિમાં લગ્ન કરતી અટકાવવી પડશે?" એમ કહેતાં ડૉ. નૌતમે રતુભાઈ સામે અર્થસૂચક દૃષ્ટિએ જોયું. રતુભાઈ હજુ અવિવાહિત હતા.

"ના, એ તો અમે કદી નહીં કરીએ. અમે બ્રહ્મીજનો વિશ્વબંધુત્વના વ્યવહારુ ઉપાસકો છીએ, અને રુધિરના વૈવિધ્યમય મિશ્રણમાં માનીએ છીએ. ઉપરાંત, અમારું સ્ત્રી-તેજ મુક્ત પ્રેમના પ્રદેશમાં વર્ગ, વર્ણ કે જાતિની ઉચ્ચતા-નીચતા કે અમીરી-ગરીબીની પાળોને ગાંઠશે નહીં. પણ એક વાત તો નક્કી કરશું. અમારી બહેન-દીકરીને પરણવા આવનારને અમારા ધર્મનો દીક્ષિત કરશું."

"તેથી શું તમારો પ્રશ્ન ઊકલી જશે ?"

"નહીં ઊકલે તો આગે આગે ગોરખ જાગે."

"ખેર, આપણે નિરાંતે બેસીને વાતો કરશું. જરૂર આવજો."

તે જ વખતે અંદરનું બારણું ઉઘાડી એક સ્ત્રી આવી. એની સામે આંગળી બતાવીને ડૉ. નૌતમે કહ્યું, "મારો ભય ન રાખશો. હું કોઈ બ્રહ્મી સાથે પરણવાનું નામ લઉં તો શું. મશ્કરી કરું તોય મને આ કાચો