પૃષ્ઠ:Pratimao.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જનેતાનું પાપ
5
 

વહાણમાં ચડી બેઠો. કારણ? કારણ કે એને પિતા તરફથી તાર આવ્યો હતો.

પછી તો જે સમયે એ લગ્નતત્પર યુવાન પોતાના પિતાના મહેલમાં બેઠોબેઠો મદિરાની પ્યાલીમાં પોતાની પરદેશણ પ્રિયાનો પડછાયો નિહાળતો હતો – ને એના પંદર-વીસ મિત્રો એની ગમગીની તોડવા માટે મદિરા પાતા પાતા સમજાવતા હતા કે “ઓ મૂરખા ! એવા પરદેશી પ્યાર તે યાદ રખાતા હશે ! ઓ ગંડુ ! એ તો એ જ તને કયારની વીસરી ગઈ હશે” – તે ક્ષણે દરિયાને આ કિનારે એક જાહેર સુવાવડખાનાના ખાટલા ઉપર એક સ્ત્રી છોકરું જણતી હતી : એ હતી આ જુવાને રઝળાવેલી પેલી વાટ જોતી બેઠેલી કુમારિકા.

દાઈઓ એની પાસે વધામણી ખાતી હતીઃ “બેન, તારે દીકરો આવ્યો. કેવો રૂપાળો છે, બાઈ!”

સ્ત્રી જવાબ દેતી હતી કે "અરે ! એથી તો હું મરી કાં ન ગઈ? એ કાં ન મરી ગયો ?”

"અરે બહેન, આમ તો જો, કેવો નમણો દીકરો તને ભગવાને દીધો છે!" દાઈઓ બાળકને માતા કને લાવી.

"નહીં નહીં, મારે એને નથી જોવો. લઈ જાઓ એને અહીંથી, લઈ જાઓ એ પાપને.” કહેતી રુદનભરી મા પડખું ફેરવી ગઈ.

પરંતુ દાઈએ જ્યારે હિંમત કરીને બાળકને માના પડખામાં મૂકયું, માએ જ્યારે એ નિષ્પાપ માનવનો દેહસ્પર્શ – પ્રથમ પ્રભાતનો ફૂલ-સ્પર્શ - અનુભવ્યો, ત્યારે પ્યાર અને અનુકમ્માના એના જીવનતાર ઝણઝણી ઊઠ્યા. પાપ અને પુણ્યના સંયોગમાંથી જન્મેલી નિર્દોષતાને એણે પોતાના હૈયા સાથે, ગળા સાથે, ને ગાલ સાથે ચાંપી લીધી. ગત જેને કલંક લેખે છે, એને જનેતાએ સોનાનો કળશ કરી શિર પર ચડાવ્યું.

[3]

સુવાવડમાંથી ઊઠ્યા પછી પહેલી જ વાર એને આપણે એક સુંદર આવાસમાં પ્રવેશતી જોઈએ છીએ. એની બગલમાં એક કાગળ વીંટ્યું ચોગઠું