પૃષ્ઠ:Puratan Jyot.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
પુરાતન જ્યોત
 


આટલી ઉગ્ર કસોટી પાર કરીને સ્ત્રીપુરુષ સમાયાં. નાનો બાળક એકલો બન્યો. હજી તો હમણાં જ જેની ચૂંદડી ખૂંદતો હતો તે મા ચાલી ગઈ.

પોતાના મર્મબોલને પરિણામે આવા કેટકેટલા કેર વર્ત્યા ! શાદુળ ભગતના અંતર ઉપર શિલાઓ ખડકાતી ગઈ.

“હવે તો નથી રોકાવું. હવે આ સ્વભાવ નહીં બદલાય. હવે જાન જોડવી જોશે.”

મૂંઝાતું દિલ લઈને શાદુળ ભગત દત્તાત્રેયના ધૂણી પર જઈ બેઠા.

ગોધૂલિની એ વેળા હતી. શાદુળે ચારે સીમાડા ભરીને નજર નાખી. ઝીણી ઝીણી રજના ડમ્મર ચડ્યા હતા

ધરા આખી છૂંદાતી હતી. શાદુળને જવાબ જડ્યો.

પછી એક દિવસ પરબની સમાધ-દેરી પાસે આવો બોલાશ ઊઠ્યો :

"નહીં ભાઈ, ત્યાં બાજુમાં નહીં.”

"ત્યારે ?”

"અહીં, એ ઓટાની નીચે, પગથિયાની જગ્યાએ મારી સમાધ ગાળો.”

"કેમ એવું કહો છો?"

"મારા શરીરનું વિરામસ્થાન અહીં જ રહેશે. ઉપરની સમાતોને જુવારવા જનારાં લોકો મારા કલેજા ઉપર ચરણ મૂકીને જ પહોંચી શકશે. હું એ સહુના કદમોમાં છૂંદાતો છૂંદાતો જ અહીં સૂતો રહેવા માગું છું.”

સમાધના ખાડાને કાંઠે ખડા રહીને શાદુળ ભગતે છેલ્લું ભજન ગાયું –