આટલી ઉગ્ર કસોટી પાર કરીને સ્ત્રીપુરુષ સમાયાં. નાનો બાળક એકલો બન્યો. હજી તો હમણાં જ જેની ચૂંદડી ખૂંદતો હતો તે મા ચાલી ગઈ.
પોતાના મર્મબોલને પરિણામે આવા કેટકેટલા કેર વર્ત્યા ! શાદુળ ભગતના અંતર ઉપર શિલાઓ ખડકાતી ગઈ.
“હવે તો નથી રોકાવું. હવે આ સ્વભાવ નહીં બદલાય. હવે જાન જોડવી જોશે.”
મૂંઝાતું દિલ લઈને શાદુળ ભગત દત્તાત્રેયના ધૂણી પર જઈ બેઠા.
ગોધૂલિની એ વેળા હતી. શાદુળે ચારે સીમાડા ભરીને નજર નાખી. ઝીણી ઝીણી રજના ડમ્મર ચડ્યા હતા
ધરા આખી છૂંદાતી હતી. શાદુળને જવાબ જડ્યો.
પછી એક દિવસ પરબની સમાધ-દેરી પાસે આવો બોલાશ ઊઠ્યો :
"નહીં ભાઈ, ત્યાં બાજુમાં નહીં.”
"ત્યારે ?”
"અહીં, એ ઓટાની નીચે, પગથિયાની જગ્યાએ મારી સમાધ ગાળો.”
"કેમ એવું કહો છો?"
"મારા શરીરનું વિરામસ્થાન અહીં જ રહેશે. ઉપરની સમાતોને જુવારવા જનારાં લોકો મારા કલેજા ઉપર ચરણ મૂકીને જ પહોંચી શકશે. હું એ સહુના કદમોમાં છૂંદાતો છૂંદાતો જ અહીં સૂતો રહેવા માગું છું.”
સમાધના ખાડાને કાંઠે ખડા રહીને શાદુળ ભગતે છેલ્લું ભજન ગાયું –