પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ અઠ્ઠાવીસમું

૨૧૬

ચડી ચડી ઊકળતાં હતાં. એણે પોતાના મોં આડે ભેળીઆનો છેડો ઢાંકી દીધો.

'આઇ, નરસૈયાની વાત તમે પૂરી જાણતાં નથી. ને શહેર આખું વિફરી ગયું તે ટાણે રાજાએ બીજું શું કરવું ? કુંતાદે તો અવળે રસ્તે ચડ્યાં છે. ને વીસળ કામદાર તો મહાતર્કટી નીવડ્યો છે. રા'ને દૂણો મા.'

'જોગમાયા તને સમત્ય દ્યે દીકરા ! નરસૈયાના પંગુમાં પડી જાય રા'-જો એનો દિ ઘેરે હોય તો. નરસૈયો તો ગભરૂ ગાય : ગાય પણ ભાંભરડાં દિયે : નરસૈયે શાપ નથી દીધો. અરેરે નાગાજણ, હું બીઉં છું. મને મારી જાતની બીક લાગે છે. નરસૈયાને માથે થઇ તેવી તારા માથે-'

'બોલો મા આઇ ! રા'ને એવડો નરાતાળ પાપી માનો મા. તમને ! તમને તે રા' સંતાપે.'

એક કહીને હસતો હસતો નાગાજણ ઘોડે ચ્ડ્યો, આઇ એની પાછળ પાછળ જ ગયાં. એણે ઘોડાની વાઘ ઝાલી : 'દીકરા, ન જા.મને બીક......'

'આઇ તમે તો......' એમ કહી નાગાજણે ઘોડો હાંક્યો.

આઇ ડેલી સુધી દોડ્યાં. 'ઊભો રે.'

'અબસાત્ત પાછો આવું છું.'

'એ......તયેં સાંભળતો જા બાપ !

'માયલાં વચન વિસારે
'જો તું જૂને જીશ !
'તો રા'ને ને તોળે રીસ
નાગાજણ ! નવી થિસે.'