પૃષ્ઠ:Ra Gangajaliyo.pdf/૪૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ પાંચમું

૩૪


'પાદશાથી બીતાં હો, તો નહિ હો મા.'

'બીઉં છું, પણ પાદશાથી નહિ.'

'સમજ્યો છું આઇ ! મારા ભાઇઓથી.'

'ન સમજ્યો બાપ ! ફોડ પડાવ મા. અટાણે તો તું તારે જા, ને ચારણીનું વેણ લેતો જા, કે તું દેવપાટણમાં જુદ્ધ કરતો હોઇશ તયેં મારા મરસિયા સાંભળતો, સાંભળતો જ મોતને ખોળે પોઢીશ. આજ તો મને માફ કરજે બાપ' ચારણીએ ખોળો પાથર્યો.

'સમજાણું હવે. વાણી તમારી ખોટી પડે એ બ્હીકે.'

'ખમા, ખમા બાપ હમીરજી. વાણીની આબરૂ વસમી છે. એ આબરૂનો કાંટો આખરી ઘડીએ જ તોળાય છે. ને ભલભલેરા એ અંતની પળે જ ભૂંડા દેખાતા હોય છે. મોતની વાતું તો વીર, સોયલી છે. પણ મોત સામું આવીનેઊભું રે' છે તયેં......'

'તમે સાચું કહ્યું માડી, તમારી વાણીને હું જોખમમાં નહિ મૂકાવું, હવે તો વચન પાળજો, ને હું સાંભળું તેમ કહેજો હો! મોડું ન થાય હો મા!'

'વિશ્વાસે રે'જે.'

'ને પછી તો દેવડી ! દેવ પાટણના દરવાજા આડા ઓડા બાંધીને સુલતાની સેનાને ભાલાની અણીએ હીલોળતા તારા કાકાનું મોત એ જ ચારણ્ય ડોશીના આ મરસિયાથી અમીયલ બન્યું હતું.'

સુતારના ઝંકારે ઝંકારે રા'ને કંઠેથી સોરઠા નિગળવા માંડ્યા-

વેલો-વેલો-વેલો આવ્યે વીર
સખાતે સોમૈયા તણી.