પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



વીણાવતી : વિશેષને એ પાત્ર નથી ?
લેખા : કુંવારીબા ! આ શું કહો છો ? તમારું ચિત્ત એના તરફ આકર્ષાયું તો નથી ?
વીણાવતી : ચિત્તાકર્ષણ એ કાંઈ અનિષ્ટ વસ્તુ છે?
લેખા : તમારા આવા વચનથી હું ગભરાઉં છું. જે શબ્દ તમારી આગળ મેં કદી વાપર્યો નથી તેનો હવે ઉચ્ચાર કરીને પૂછું છું કે તમારા હૃદયમાં પ્રેમનો ઉદ્ભવ થયો છે ?
વીણાવતી : શબ્દનો ઉચ્ચાર દાબી રાખવાથી ભાવનો ઉદ્ભવ કદી દબાઈ રહ્યો છે?
લેખા : હાય ! હાય ! આ તો ગજબ થયો !
વીણાવતી : એમાં ગજબ શાનો ? પ્રેમ એ પુણ્ય અને ઉચ્ચ વસ્તુ નથી?
લેખા : પણ, તમારાથી પ્રેમ ન થાય.
વીણાવતી : મારાથી પ્રેમ ન થાય ? શું જગતની પ્રેમઘટનામાંથી વિધાતા એ મને બાતલ કરી છે?
[લેખા પોતાની આંખમાંથી આંસુ લૂછે છે.]
 
વીણાવતી : લેખા ! એકાએક આ શું ?
લેખા : જગતમાં શું છે તે તમે શું જાણો ? તમે કયે દહાડે આં વાડીમાંથી નીકળીને બહાર જગતમાં ગયાં છો ?
વીણાવતી : પ્રેમની પ્રાપ્તિ સાથે જ જગતનો સમાગમ થયો છે; અને મને સમજાયું છે કે આ વાડીમાં છે તે જગત છે. હું અનુભવું છું તે પ્રેમનો પ્રવાહ બધે વ્યાપી રહ્યો છે; તે છતાં તું શા માટે કહે છે કે મારે એકલી આ પ્રવાહથી અલગ રહેવું?
લેખા : અરે દેવ ! કહેવાનું આખરે મારે માથે આવ્યું ! હું કહું છું, પણ તમે પહેલાં આં કટારી ઊંચી મૂકવા દો.

[ખીંટીએ લટકતી કટારી લઈને પેટીમાં મૂકે છે. પેટીને તાળું વાસીને કૂંચી પોતાની કેડે ખોસે છે.]'

૧૩૪
રાઈનો પર્વત