પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


અપુણ્ય સંકેતમાંથી તમે છૂટ્યાં છો એટલું બસ છે.
જગદીપ : શીતલસિંહ ! ભવિષ્યમાં તમારે શું કરવું એ તમારે નક્કી કરવાનું છે, પરંતુ મારો સિદ્ધાન્ત તમને ઉપયોગી થતો હોય તો હું તે દર્શાવું. તમને યાદ હશે કે તે રાત્રે કિસલવાડીમાં મારો ખરો વૃત્તાન્ત મેં તમને જણાવ્યો ત્યારે મેં એક દોહરો કહ્યો હતો.
શીતલસિંહ : હા મહારાજ ! મને તે દોહરો યાદ છે.

પ્રભુથી સહુ કંઈ થાય છે, અમથી થાય ન કાંઈ;
રાઈનો પર્વત કરે, પરવતનો વળિ રાઈ. ૧૦૦

જગદીપ : પ્રભુના વિધાનને અનુસરતાં હું રાઈનો પર્વત થયેલો બચ્યો અને પાછો રાઈ થયો, તો આજે રાઈનો જગદીપ થયો છું. મારા પિતાની ગાદીએ બેઠો છું, અને દીવ્ય પ્રેમથી મને પાવન કરનારી આ પત્ની પામ્યો છું. ભગવન્ત ! હવે આપના આશીર્વાદનું એક વચન સાંભળી આ સભા વિસર્જન કરીશું.
કલ્યાણકામ : રાજન ! તમારી ઊચ્ચ નીતિ એ જ પરમ આશીર્વાદ રૂપ છે. તો બીજું શું કહું ?

રહેજો સદા સ્મરણમાં પ્રભુનાં વિધાન,
લોકો ગ્રહો પથ ઉંચા અભિલાષવાન;
રાજા પ્રજા ઊભયનાં ઉર એક થાજો,
ને નીતિકીર્તિ તુજ દેશવિદેશ જાજો. ૧૦૧

[પડદો પડે છે.]
 
૧૭૨
રાઈનો પર્વત