આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
રાઈઃ | (ખાટલા પરથી ઉતરીને) ભગવન્ત! હવે મને અનુજ્ઞા મળવી જોઇએ. |
કલ્યાણકામઃ | તમારી એવી જ ઇચ્છા છે તો હું રોકીશ નહિ. પરંતુ, શરીર સ્વસ્થ થયે ફરી દર્શનનો લાભ આપવાનો તમારો કોલ છે એમ સમજી અનુજ્ઞા આપું છું. |
રાઈઃ | હાલ થોડા વખત સુધી તો કદાચ આપને નહિ મળી શકું. પણ સમય આવ્યે આપણે મળીશ અને ઘણીવાર મળીશ.આપનો સમભાવ એ તો મહામૂલ્ય વસ્તુ છે. |
સાવિત્રીઃ | આવી અવસ્થામાં તમે ઘોડા પર સવારી કરશો શી રીતે? ઘોડો પણ અશક્ત છે. |
રાઈઃ | ઘોડાને દોરીને લઇ જઇશ.અને, એથી અમને બન્નેને જે પરસ્પર સંતોષ થશે તેથી ચાલવામાં મને કે ઘોડાને શ્રમ કે વેદના જણાશે નહિ.
[સર્વને નમન કરીને રાઈ જાય છે.] |
વંજુલઃ | આટલી બધી ઘોડાની શી ઊઠવેઠ ! હું હોઉં તો એવો ઘોડો પાંજરાપોળમાં મોકલી દઉં. |
કલ્યાણકામઃ | તું કદી ઘોડા પરથી પડ્યો છે? |
વંજુલઃ | કોઈ દહાડો ઘોડે બેઠો જ નથી ને! |
સાવિત્રીઃ | આવતા લગનગાળામાં તારે ઘોડે બેસવાનું આવશે. |
વંજુલઃ | (મોં મલકાવીને) ભગવન્તની અને આપની કૃપા. |
કલ્યાણકામઃ | વંજુલ! ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કરનારની પદવી પૂજ્ય થાય છે. પણ, તારી આટલી થોડી બુધ્ધિ જોઇ તને કોણ પૂજ્ય ગણશે? |
વંજુલઃ | આપની નજરમાં મારી બુધ્ધિ થોડી હશે, પણ મારી બાઇડી આગળ તો હું પરમેશ્વરથી અધિક થઇશ. |
કલ્યાણકામઃ | તેં ગીતામાં નથી વાંચ્યું કે પરમેશ્વરના સમાન કોઇ નથી, તો અધિક ક્યાંથી હોય? [૧] |
વંજુલઃ | એ સિદ્ધાંત તો પુરુષો માટે છે, સ્ત્રીઓ માટે નથી. હું |
અંક બીજો
૩૧