३४–सुलसा
જૈન ગ્રંથોમાં દશ મહાસતીઓનાં જે પવિત્ર નામ ગણાવવામાં આવ્યાં છે, તેમાં સુલસાનું નામ પ્રથમ આવે છે.
બુદ્ધદેવ અને શ્રીમહાવીરસ્વામીની ચરણરજથી અનેક વાર પવિત્ર થયેલા રાજગૃહ નગરમાં સુલસાનો જન્મ થયો હતો. રાજા શ્રેણિક એ નગરનો રાજા હતો.
નાગસારથિ નામના એક ગુણવાન અને સમૃદ્ધિશાળી નર સાથે તેનું લગ્ન થયું હતું. પતિને સુલસા ઉપર ઘણો પ્રેમ હતો. સુલસા પણ મહાપતિવ્રતા હતી અને પતિને પ્રસન્ન કરવાજ સદા તત્પર રહેતી. એ સમયમાં ભારતવર્ષમાં મોટા દરજ્જાના પુરુષોમાં એક સ્ત્રીની હયાતીમાં અનેક સ્ત્રી વરવાનો રિવાજ ફેશનરૂપ થઇ પડ્યો હતો; છતાં આ દંપતીનો પ્રેમ એવો દૃઢ હતો કે નાગસારથિએ ફરીથી કદી નહિ પરણવાનો નિશ્ચય કર્યો હતો.
એક દિવસ નાગસારથિ બહાર જઈ રહ્યો હતો, ત્યાં દેવકુમાર જેવા બે સુંદર બાળક એના દીઠામાં આવ્યાં. પોતે નિઃસંતાન હતો, તેથી તેને લાગી આવ્યું હતું. નિર્દોષ હાસ્યથી કિલકિલાટ કરી ઘરને ગજાવી મૂકનારાં બાળક વિનાનું ઘર તે ઘર નહિ પણ વેરાન છે એમ એને લાગ્યું. એ વિચાર આવતાંજ ચિંંતાએ એના મનમાં ઘર કર્યું અને એ દિનપ્રતિદિન સુકાવા લાગ્યો. સતી સુલસાથી પતિનું ગ્લાનિયુક્ત મુખ દેખી શકાયું નહિ. એ સ્નેહાળ પત્ની સમજી શકી કે, પતિના હૃદયમાં ચિંંતારૂપી શલ્ય છે. તેણે પ્રેમયુક્ત વાણીમાં પૂછ્યું: “સ્વામીનાથ ! વિંધ્યાચલમાં એકલા પડી ગયેલા હાથીની પેઠે આપ શો ઊંડો વિચાર કર્યા કરો છો ? રાજ્યથી ભ્રષ્ટ થયેલા રાજપુત્રની પંડે આપનું મુખકમળ શ્યામતા કેમ ધારણ કરતું જાય છે ? શું શ્રેણિક રાજાએ આપનું અપમાન કર્યું છે ? લોકોએ આપની વિરુદ્ધ કાંઈ કાવત્રું