પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૩
સુલસા


 ભૂમિ પર શયન અને આંબેલ તપ આદિ દ્વારા તેણે આત્મસંયમ પણ સાધવા માંડ્યો.

એક સમયે ઈંદ્રે તેની ધર્મશ્રદ્ધાની પ્રશંસા કરી. એ પ્રશંસા સાંભળીને તેની પરીક્ષા લેવા સારૂ હરિણગમેષી દેવ સુલસાને ઘેર ગયો. સુલસાએ સાધુવેશધારી એ દેવનો સારી રીતે આદર કર્યો. સાધુએ કહ્યું: “મેં સાંભળ્યું છે કે તારા ઘરમાં લક્ષપાક તેલના ઘડા છે. અમારામાંના કેટલાક સાધુઓની દવા સારૂ એની જરૂર છે માટે એ તેલ મને આપ.” સુલસા એક ઘડો બહાર લાવી, પણ દેવના પ્રભાવથી તે તેના હાથમાંથી પડી ગયો ને ફૂટી ગયો. સુલસા જરા પણ ગભરાયા વગર બીજો ઘડો લઈ આવી. તે પણ હાથમાંથી છટકી ગયો ને ફૂટી ગયો. તેલ જમીન પર ઢોળાઈ ગયું, પણ સંકોચ કે મૂંઝવણ વગર તે ત્રીજો ઘડો લઈ આવી. તેની પણ પહેલા બે ઘડા જેવીજ દશા થઈ. આંગણું તેલ તેલ થઈ રહ્યું. આમ થવા છતાં સુલસાનું ધૈર્ય ચળ્યું નહિ. તેણે ક્રોધ પણ કર્યો નહિ, આથી દેવતા તેના ઉપર પ્રસન્ન થયો અને તેને બત્રીસ ગોળીઓ આપીને કહ્યું કે, “આ ગોળીના સેવનથી તને બત્રીસ પુત્ર થશે.”

સુલસાએ વિચાર કર્યો: “મારે ૩૨ પુત્રની શી જરૂર છે ! એકજ પુત્ર સપુત હોય તો ૩૨ ની બરાબર છે. એક ચંદ્રમાં અંધકારનો નાશ કરે છે. તારા ઘણા હોવા છતાં એમનાથી અંધકાર જતો નથી.” એમ વિચારીને એણે બત્રીસ ગોળીઓ એક સાથે ખાઈ લીધી. બ્રહાચર્ય તથા શુદ્ધ સાત્ત્વિક આહારનું સેવન તો એણે ઘણા દિવસથી કર્યું જ હતું. વંધ્યાપણું નિવારણ કરવાને માટે એ બન્ને બહુ આવશ્યક છે. નિયમિત આહાર તથા બ્રહ્મચર્ય અને સંયમી જીવન વડે શરીરના ઘણા વિકાર દૂર થઈ જાય છે. તેમાં વળી સાધુની અજમાવેલી સારી દવા પણ મળી ગઈ. ભગવાનનો આશીર્વાદ પણ હતો. સુલસા ગર્ભવતી થઈ અને બત્રીસ ગોળી એકજ સાથે ખાધેલી હોવાથી એને પુષ્કળ વેદના થવા લાગી. હરિણગમેષી સાધુને એણે બોલાવીને પૂછ્યું તો એણે કહ્યું કે “તે ઘણી ગંભીર ભૂલ કરી છે. એક એક ગોળીઓ ખાવાની હતી, તેને બદલે તે સામટી ખાધી. હવે તો તને સામટા બત્રીસ પુત્ર થશે. હશે, જે થવાનું હતું તે થઈ ગયું. હું એવો ઉપાય કરું છું કે જેથી તને બહુ દુઃખ નહિ થાય.”