છે, તેવો બીજી કોઈ વખતે ઝંપલાવતો નથી. પરાધીનતા, કાયરપણું વગેરે દેશ માટે માતા પાસેથી જેને ઠપકો મળે તેના જેવો ઠપકાનો ભય બીજો કોઈ રહેતો નથી.
ધર્મનિષ્ઠા, મહત્ત્વ અને તેજસ્વિતામાં જીજાબાઈ એક આદર્શ રમણી હતી. પોતાનો પુત્ર વીરત્વ, મહત્ત્વ અને ધર્મનિષ્ઠામાં આદર્શ પુરુષ નીવડે અને હિંદુઓની ખોવાયલી પ્રતિષ્ઠા પાછી આણે એટલા માટે પુત્રને શિક્ષણ અને ઉત્સાહ આપવામાં તેમણે બાકી રાખી નહોતી અને તેને લીધેજ શિવાજી ‘શિવાજી’ બનવા પામ્યા હતા.
દક્ષિણ ભારત કદી એક વખતે દિલ્હીના શહેનશાહના તાબામાં રહ્યું નથી. જ્યારે પઠાણ રાજાઓ દિલ્હીમાં રાજ્ય કરતા હતા, ત્યારે દક્ષિણમાં બે મુખ્ય રાજ્ય હતાં. એક હિંદુનું અને બીજું મુસલમાનોનું.
હિંદુ રાજ્યનું નામ વિજયનગર અને મુસલમાની રાજ્યનું નામ બ્રાહ્મણી રાજ્ય.
ધીમે ધીમે બ્રાહ્મણી રાજ્યના પાંચ ભાગ ગઈ ગયા. એ પાંચ રાજ્યના મુસલમાન રાજાઓએ મળીને વિજયનગરના હિંદુ રાજ્યનો નાશ કર્યો. ત્યાર પછી એ પાંચ રાજ્યમાંથી એનો લોપ થઈને ત્રણ બાકી રહ્યાં. એ ત્રણનાં નામ અહમદનગર, બિજાપુર અને ગોવલકોંડા.
હિંદુ રાજ્યનો નાશ થયા છતાં હિંદુની શક્તિ એકદમ નાશ પામી નહિ. મુસલમાન રાજાઓના તાબામાં સેંકડો નાના નાના જમીનદારો, જાગીરદારો અને કિલ્લેદારો પોતપોતાની હદમાં રાજ્ય કરતા હતા. એ હિંદુ જાગીરદારો વગેરે યુદ્ધ અને રાજ્યશાસનમાં અહમદનગર, વિજાપુર અને ગોવલકોંડાના મુસલમાન રાજાઓના મુખ્ય મદદગાર હતા.
આટલી શક્તિ હોવા છતાં પણ એ હિંદુઓ મુસલમાનોને તાબે હતા તેનું કારણ એ છે કે, એ બધા હિંદુ જાગીરદારો સાથે મળીને કદી સંપ કરી શકતા નહિ; અથવા તેમાંનો કોઈ એવો મોટો નીકળતો નહિ કે જે બધાને પોતાના તાબામાં રાખીને એક વિશાળ હિંદુ રાજ્યની સ્થાપના કરે.
દાક્ષિણાત્યના પશ્ચિમ ભાગમાં મરાઠા દેશ છે. એ દેશમાં