જેવાં બે અશ્રુબિંદુ ટપક્યાં. રઘુનાથ વિદાય માગીને ચાલ્યો ગયો. જ્યાં સુધી તેનો ઘોડો દેખાતો રહ્યો, ત્યાંસુધી સરયૂ આતુર નયનોથી તેના તરફ જોતી રહી. મનમાં ને મનમાં એ એનાં ઘણાંએ વખાણ કરવા લાગીઃ “અહા ! કેવો સુંદર યુવાન છે! એના પ્રત્યેક અંગમાં વીરતા ઝળકી રહી છે. એની વાત કેવી મીઠી લાગે છે ! કોણ જાણે ક્યારે પાછો એનો મેળાપ થશે?” આવા વિચારોના તરંગથી એનું હૈયું ભરાઈ આવ્યું. ઉદાસ ચિત્તે એ મંદિરમાં ગઈ અને ત્યાં દેવી આગળ પોતાનું હૈયું ખાલી કર્યા પછી સ્વસ્થ થઈને ઘેર ગઈ.
સરયૂ ઘણી જ ગંભીર સ્વભાવની કન્યા હતી. જો કે એ શોક અને ચિંતામાં વ્યસ્ત હતી, તો પણ એણે પોતાના મનની વેદના કોઈને જણાવા દીધી નહિ. વિરહ અને પ્રેમની આગ અંદ૨ ને અંદરજ સળગે છે. એ આગને ધુમાડોયે નથી હોતો, તેમજ એને ઝાળ પણ નથી હોતી; છતાં પણ એ શરીરના લોહી અને પાંસળાં બધાંને બાળીને ભસ્મ કરી નાખે છે.
ઘણા દિવસો સુધી પુત્રીની શોકમગ્ન અવસ્થા જોઈને જનાર્દનને પણ સંદેહ થયો. તેણે કહ્યું: "સરયૂ ! તારી આ દશા જોઈને મારી છાતી ફાટી જાય છે.” સરયૂ બિચારી શો ઉત્તર આપે ? તેનાં નેત્રોમાં આંસુ ભરાઈ આવ્યાં. એક હિંદી કવિ વાજબી કહે છે કે —
"પ્રેમ છિપાયા ના છિપે, જા ઘટ પરગટ હોય;
જો પૈ સુખ બોલે નહિ, નયન દેત હે રોય.”
બન્ને જણાં રોવા લાગ્યાં. રોવાથી હૃદયનો ભા૨ કાંઈક હલકો થયો, એટલે સરયૂએ શિર નમાવીને લજ્જાપૂર્વક કહ્યું: “ હું ઈશ્વર પાસે પ્રાર્થના કર્યા કરું છું કે, એ રઘુનાથને આ યુદ્ધમાં ફત્તેહમંદ કરે. એ સિવાય મારી બીજી કોઈ ઈચ્છા નથી, ” આટલું કહીને સરયૂ પિતાની પાસેથી શરમાઈને ચાલી ગઈ.
જનાર્દનની પાસેથી વિદાય લઈને રઘુનાથ શિવાજી મહારાજની પાસે ગયો હતો. દિલ્હીના શહેનશાહે એ સમયે રાજા જયસિંહને શિવાજીની સાથે લડવા માટે મોકલ્યો હતો. પંડિત જનાર્દનને રાજા શિવાજીએ મળવા બોલાવ્યો હતો. સરયૂ પણ સાથે હતી. આ યાત્રાથી સરયૂને ઘણો લાભ થયો, કારણકે આ