પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



પાંચ વર્ષની ગૌરી આ બધો ઉપદેશ સમજી શકી હશે કે કેમ એ તો પ્રભુ જાણે, પરંતુ તેના હૃદયમાં એટલી તો ખાતરી થઈ ગઈ કે, તેના જીવનમાં કોઈ અદ્‌ભુત ફેરફાર થઈ ગયો છે. ચારે તરફ તેને શૂન્યતા દેખાવા લાગી. તેના મુખકમળ ઉપરનું હાસ્ય સદાને માટે ચાલ્યું ગયું. પાંચ વર્ષની બાલિકા સંસારમાં પ્રવેશ કરતા પહેલાં જ સંસારથી વિરક્ત બની ગઈ.

ગૌરીબાઈનો પિતા ઘણો સમજુ અને વિદ્વાન હતો. તેણે ગૌરીબાઈને વિદ્યાભ્યાસ કરાવવો શરૂ કર્યો. લખતાં-વાંચતાં શીખવ્યા પછી, તેણે ગૌરીબાઈને ગીતા આદિ ધર્મગ્રંથનો પાઠ કરતાં શીખવ્યું. ગૌરીબાઈને પણ વાંચવાલખવાનો ઘણોજ શોખ ઉપન્ન થયો. તેર વર્ષની વયે તો એણે ઘરની બહાર જવું પણ છોડી દીધું. ઘરના ખૂણામાં એ એકાંતવાસ સેવવા લાગી. વયની સાથે તેના સદ્‌ગુણોનો વિકાસ પણ થવા લાગ્યો. ધીમે ધીમે તેની વિદ્વત્તા અને સદ્‌ગુણોની પ્રશંસા આખા શહેરમાં ફેલાઈ ગઈ અને ગામની અન્ય સ્ત્રીઓ તેનાં દર્શન કરવા સારૂ આવવા લાગી.

તેર વર્ષની ઉંમરમાં ગૌરીબાઈએ યોગાભ્યાસમાં પોતાનું ચિત્ત પરોવ્યું હતું. એ વિષયમાં તેનો અભ્યાસ એટલો બધો વધી ગયો હતો કે, તે સમાધિ લગાડી શકતી હતી. તેના જ્ઞાન તથા યોગની સિદ્ધિઓથી બધાં આશ્ચર્યચકિત થઈ જવા લાગ્યાં. સૂર્ય પ્રકાશ જેમ વાદળાંથી છુપાયેલો રહી શકતો નથી, તેમ ગૌરીબાઈના સદ્‌ગુણોની પ્રશંસા પણ તેના ઘરના ખૂણામાં બેસી રહ્યાથી બંધ ન રહી. તેના સદ્‌ગુણોની પ્રશંસા આખરે એ ગામના રાજાના કાન સુધી પહોંચી. એ પોતે તેનાં દર્શન કરવા સારૂ તેને ઘેર પહોંચ્યા. તેના ચમત્કાર, તેની તીવ્ર બુદ્ધિ, તેની સમાધિ, તેનો સરળ સ્વભાવ તથા તેના અમૂલ્ય ઉપદેશથી રાજ શિવસિંહ ઘણોજ પ્રસન્ન થઈ ગયો અને મુક્તકંઠથી ગૌરીબાઈની સ્તુતિ કરવા લાગ્યો, એટલું જ નહિ પણ તેણે ગૌરીબાઈને માટે હજારો રૂપિયા ખર્ચ કરીને, એક મોટું મંદિર અને તળાવ બંધાવી આપ્યાં તથા એ બન્ને વાનાં ગૌરીબાઈને સમર્પણ કરીને એમાં રહેવાની પ્રાર્થના કરી.

સં. ૧૮૩૮ને માઘ સુદી ૬ને દિને ગૌરીબાઈએ એ મંદિરમાં પોતાના ઈષ્ટદેવની સ્થાપના કરી અને ૨૩ વર્ષની વયથી ઘરબાર છોડીને એ મંદિરમાં જ રહેવા લાગી. તેના ઉપદેશથી રાજાએ