પૃષ્ઠ:Rajmata Jijabai Ane Bija Stri Ratno.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૦
ભારતની દેવીઓ - ગ્રંથ ૩ જો



કરી ઘરમાંજ પોતે અરણ્યવાસીઓ જેવું કઠોર જીવન ગાળતાં અને ભજન કરતાં. એમના ભજનમંદિરમાં જવાનો કાઈને અધિકાર નહોતો. પતિની કીર્તિની એ સદા ખબર રાખતાં અને સખીઓને મુખેથી તેનું શ્રવણ કરવામાં એમને વિશેષ આનંદ આવતો. દેવી હવે ખરેખરાં સંન્યાસિની–પૂર્ણ યોગિની બન્યાં હતાં. પ્રેમભક્તિને માટે એ આદર્શરૂપ બન્યાં હતાં. અનેક ભક્તો તેમનાં પ્રતિદિન દર્શન કરીને કૃતાર્થ થતા.

એક દિવસ વિષ્ણુપ્રિયા દેવી અત્યંત વિરહાતુર થઈને પતિની મૂર્તિની પાસે બેસીને રડતાં હતાં અને પ્રાર્થના કરતાં હતાં કે, “પ્રભુના ચરણમાં મને શરણ મળજો.” એ રાત્રે સ્વપ્નમાં એમને શ્રીગૌરાંગ પ્રભુનાં દર્શન થયાં અને એમણે કહ્યું કે, “એક બ્રાહ્મણકુમાર તમારાં દર્શન કરવા નદિયા આવી રહ્યો છે, તેના પર કૃપા દર્શાવજો. એ તમારૂં આ સંસારમાં છેલ્લું કાર્ય છે.” ત્યાર પછી થોડે દિવસે શ્રીનિવાસ આચાર્ય નવદ્વીપમાં જઈ પહોંચ્યા. દેવીએ તેમની સાથે કૃપાપૂર્વક ધર્મનો વાર્તાલાપ કર્યો. ત્યાર પછી તેમની તબિયત બગડી, ભૂખતૃષાથી પીડિત એમનું ક્ષીણ તપસ્યામય શરીર વધારે ક્ષીણ બની ગયું અને એ પુણ્યાત્માના નિવાસને માટે અશક્ત બન્યું; એમનો પ્રાણ એ પવિત્ર દેહ ત્યાગ કરીને ચાલ્યો ગયો. આખું નવદ્વીપ નગર એ દિવસે શોકસાગરમાં નિમગ્ન થઈ ગયું.*[૧]


  1. * શ્રી. હરિદાસ સ્વામી રચિત “શ્રીવિષ્ણુપ્રિયા” ચરિત્રગ્રંથ ઉપરથી સારરૂપે આ ચરિત્ર લખવામાં આવ્યું છે. -પ્રયોજક