મૃગાવતી ઉપર કાંઇજ અસર થઈ નહિ. કિલ્લાને બંધ કરીને એ આત્મરક્ષણ કરવા સારૂ સજ્જ થઈ.
એ સમયમાં શ્રીમહાવીરસ્વામી પર્યટન કરતાં કરતાં ત્યાં પધાર્યા. મૃગાવતીના આનંદનો પાર રહ્યો નહિ. એને ખાતરી થઈ કે, તેની વહારે ધાવા સારૂજ પ્રભુ મહાવીર સ્વામી પધાર્યા છે. ઘણા હર્ષપૂર્વક તેણે એ પરમ વિદ્વાન તીર્થંકરની પધરામણી કરી.
રાજા ચંડપ્રદ્યોતને પણ મહાવીરસ્વામીના પધાર્યાની ખબર પડી એટલે એ પણ એમનો મધુરો ઉપદેશ સાંભળવા સારૂ મૃગાવતીના નગરમાં ગયો.
મહાવીર સ્વામીએ ઉપદેશમાં એક ભીલના પૂર્વજન્મની વાર્તા કહી સંભળાવી અને તે દૃષ્ટાંતદ્વારા કામવાસનાને લીધે થતાં અનિષ્ટ પરિણામ અસરકારક રીતે જણાવ્યાં. એથી રાજા ચંડપ્રદ્યોતનું મન પણ નિર્મળ થયું. પતિવ્રતા રાણી મૃગાવતીના હૃદયમાં પણ વૈરાગ્યનો સંચાર થયો. પોતાનું શિયળ ભંગ કરવા તત્પર થનાર રાજા ચંડપ્રદ્યોત પ્રત્યેનું તેનું વેર પણ શમી ગયું અને તેણે મહાવીરસ્વામીને હાથ જોડીને કહ્યું: “રાજા ચંડપ્રદ્યોતની હું શરણાગત છું, એટલે એમની આજ્ઞા હોય તો હું ભગવાન પાસે ચારિત્ર લેવાની ઈચ્છા રાખું છું.” રાજા ચંડપ્રદ્યોતે એને દીક્ષા લેવાની રજા આપી અને એના પુત્ર ઉદયનને કૌશામ્બીનો રાજા બનાવ્યો.
પુત્રના રાજ્યાભિષેક પછી સતી મૃગાવતીએ રાજા ચંડપ્રદ્યોતની આઠ રાણીઓ સહિત દીક્ષા લીધી. શ્રીમહાવીર સ્વામીએ એ નવે સન્નારીઓને સાધ્વી ચંદનબાળા પાસે શિક્ષણ લેવા સારૂ રાખી. ત્યાં આગળ મૃગાવતીએ ધર્મનું ઊંચા પ્રકારનું શિક્ષણ મેળવ્યું. જૈનધર્મનાં વ્રત, અનુષ્ઠાન આદિનું તેણે યથાર્થ રીતે પાલન કર્યું હતું. વળી અપૂર્વ સાધનાથી સાધકોને માટે અતિ દુઃસાધ્ય મનાતી કેવલજ્ઞાનની સિદ્ધિ તેણે પ્રાપ્ત કરી હતી. એ જ્ઞાન વડે એક વાર એની ગુરુ ચંદનબાળા સૂઈ રહી હતી, ત્યાં આગળ ઘોર અંધકારમાં એક સર્પને આવતો તે જોઈ શકી હતી અને સર્પદંશથી પોતાની ઉપદેશિકાને બચાવી શકી હતી.
મૃગાવતીનું જીવન એ એક આદર્શ જીવન હતું.