२५–भद्रा
ભદ્રા રાજનગરના સુપ્રસિદ્ધ શેઠ ગોભદ્રની પત્ની થતી હતી. ગોભદ્ર શેઠનું રાજ્યમાં ઘણું સારૂં માન હતું. ભદ્રા સુશિક્ષિત સન્નારી હતી. દંતકથા એવી છે કે એના જન્મ પૂર્વે જ એક જ્યોતિષીએ એની માતાના જન્માક્ષર જોઈને કહ્યું હતું જ કે, “આ સન્નારીના ગર્ભમાંથી અવતરનાર પુત્રી જેના ઘરમાં પરણીને જશે, તેના ઘરમાં ભદ્ર અર્થાત્ કલ્યાણજ થશે.” આ ઉપરથી એ બાલિકાનું નામ ભદ્રા પાડવામાં આવ્યું હતું.
ભદ્રા પરણીને સાસરે ગઈ. માતપિતાને ત્યાં મળેલી ઉચ્ચ કેળવણીને પ્રતાપે સાસરામાં તેણે સારી છાપ પાડી. એનું જીવન ધાર્મિક હતું, જૈન ધર્મનું આહિનક તે નિયમપૂર્વક કરતી.
યથાસમયે તેને ગર્ભ રહ્યો. ગર્ભાવસ્થામાં તેણે સ્વપ્નમાં શાળ અર્થાત્ ડાંગરનું ખેતર જોયું, ત્યાર પછી થોડા દિવસમાં એને પુત્ર અવતર્યો. ગોભદ્ર શેઠે તેનું નામ શાલિભદ્ર પાડ્યું. આઠ વર્ષની વયે તેને નિશાળે મૂક્યો. ત્યાં તે સકળ વિદ્યામાં પારંગત થયો, મોટા થતાં એનાં લગ્ન કરવામાં આવ્યાં. અનેક સ્ત્રીઓ પરણવાનો મોહ તો પ્રાચીનકાલમાં હિંદુ અને જૈનોમાં એકસરખોજ હોય એમ લાગે છે. નગરશેઠના પુત્રને એક સ્ત્રીએ ચાલે ? બત્રીસ સુંદર સ્ત્રીઓ સાથે તેનાં લગ્ન કરવામાં આવ્યાં. ધનવૈભવની ખોટ તો હતી જ નહિ. તેમાં આ વનિતાવિલાસ ઉમેરાયો, એટલે શાળિભદ્ર શેઠ ભોગવૈભવમાં જીવન ગાળવા લાગ્યા.
પુત્ર મોટો થયો અને એણે ઘરનો તથા દુકાનનો વ્યવહાર સંભાળી લીધો, એટલે ગોભદ્ર શેઠે સંસારનો ત્યાગ કરીને દીક્ષા લીધી. સતી ભદ્રાએ પણ પતિની સાથેજ જવાનો અભિલાષ