આમે બંધ જ છે ને !’
‘તે તમે એકલા કમાણીના ઉદ્દેશથી જ અહીં આવો છો શું ?’
‘બીજા કયો ઉદ્દેશ હોઈ શકે ?’
‘ન્યાય આપવા-અપાવવાનો.’ મારા એક સીનિયર મિત્રે મિજબાની માગતા ધૃષ્ટ જૂનિયરને કહ્યું.
‘વાત છોડો ને, સાહેબ ! વગર ફીએ લડતા હો તો ન્યાયબ્યાય સમજીએ...’ બીજા સીનિયરની પાયરીમાં ઝડપથી પ્રવેશતા વકીલમિત્રે કહ્યું.
‘પૈસા એ અકસ્માત છે. ઉદ્દેશ તો અહિંસાનો છે.’ મેં કહ્યું. આજે મને બધાં તત્ત્વો અહિંસાનું સૂચન કરતાં હતાં.
‘અહિંસા તમે રાખો. અકસ્માત અમને થવા દો.’ એક જૂનિયરે કહ્યું.
‘ગાંધીએ વળી ક્યાં આ અહિંસાનું તૂત ઊભું કર્યું ! છેવટે વાણિયા જ ને !’ એક ક્ષત્રિય ગુજરાતીએ કહ્યું.
‘તેમાં યે ગુજરાતી !’ શિવાજી અને બાજીરાવના આત્માને જીવંત રાખતા એક દક્ષિણી વકીલે કહ્યું.
‘અહિંસાબહિંસા છોડો, વાનિયાઓ ! અંગ્રેજી વગર તમારા બાપનું પન ચાલવાનું નથી.’ એક ગંભીર પારસી સીનિયરે કહ્યું.
‘સોરાબજી ! બાપની વાત જવા દો.’ એક વકીલે ગંભીરતાથી કહ્યું.
‘બાપની વાત જવા દો. આપને તારી વાત કરીએ, દીકરા !’ આંખમાં મશ્કરી ચમકાવી સોરાબજીએ કહ્યું.
‘આપણે સિદ્ધાંતનો સવાલ છે. અહિંસા અને વકીલો વચ્ચે કેટલો સંબંધ હોઈ શકે એ જ આજે પ્રશ્ન છે. એમાં નથી મારો સવાલ કે નથી તમારો – નથી હિંદુનો કે નથી મુસલમાનોનો…’ મેં અહિંસા ધરમૂળથી સમજાવવા વચ્ચે પડી કહ્યું. પરંતુ મને બોલતો અટકાવી મારા જોડીદાર શમસુદ્દીન વકીલ બોલ્યા :
‘બધી વાત કરજો, પણ અમારું નામ નહિ લેશો.’