લખાણ પર જાઓ

પૃષ્ઠ:Rasbindu.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮ : રસબિન્દુ
 


‘અરે, મુસ્લિમ ધર્મમાં પણ અહિંસા છે.’ એક વકીલે કહ્યું.

‘તમને એક વખત કહ્યું કે અમારું નામ ન લેશો...’ શમસુદ્દીન ગુસ્સે થઈ બોલી ઊઠ્યા.

‘નામ ન લેશો એટલે તમે શું કહેવા માગો છો ?’ આર્યસમાજની ઓસરતી અસરવાળા એક હિંદુત્વ અભિમાની વકીલે પૂછ્યું.

‘અરે યાર, જવા દો ઝઘડો. મુસ્લિમોને ન ફાવતું હોય તો આપને એમનો મ પન ન બોલવો.’ સોરાબજી બોલ્યા.

‘અને બોલીએ તો ?’ આર્ય વકીલે કહ્યું.

‘બોલી જુઓ જોઈએ ? તમને ખબર પડશે !’ શમસુદ્દીને કહ્યું.

‘જુઓ, સાંભળો બધા. મુસ્લિમોનો મ.’ હિંદુત્વ ઉદ્ધારક આર્ય વકીલે હિંમત કરી.

અને મને લાગ્યું કે ચારે પાસથી ખુરશીઓ ઊંચકાઈ અને ફેંકાવાની પણ શરૂઆત થઈ ચૂકી. હિંસાને નજરે પણ ન જોવાનો નિશ્ચય કરી ચૂકેલો હું બહાર નીકળી આવ્યો અને હિંસાને ફેલાતી અટકાવવા પાસે જ ઊભા રહેલા એક બે પોલીસ સિપાઈઓને મેં કહ્યું :

‘અરે, જલદી કરો, જલદી કરો. વકીલોમાં મારામારી થાય છે;’

‘વકીલોમાં ?’ સિપાઈએ ખરું ન માની પૂછ્યું.

‘હા હા; હિંસા અને અહિંસાનો ઝઘડો જામ્યો છે.’

ઘેર આવતાં બરોબર મેં જોયું કે મારો પાંચેક વર્ષનો પુત્ર એક ખૂણામાં બેઠો બેઠો કાગળો ફાડી રહ્યો હતો. અમે અહિંસકો સંતતિનિયમનના કૃત્રિમ ઇલાજોમાં માનતા નથી. એટલે મારી સંતતિ સારી સંખ્યામાં અને વિસ્તૃત વયમર્યાદામાં રહેલી છે. કૉલેજના શિક્ષણથી માંડીને મોન્ટેસરી પદ્ધતિના બાલશિક્ષણ સુધી એકસામટો વિચાર કરવાની અમને સગવડ રહેલી હોય છે.

બાળકપુત્ર કાગળો ફાડવાનું કાર્ય કરતો હતો એ બરાબર ના