- શી જાતની આગ લગાડી ?
“આપા દેવા ! આગ લગાડીશ ? સૂરજ સાંખશે?” કસિયાભાઈએ પૂછ્યું.
“કસિયાભાઈ ! હું દેવો વાળો. સળગાવું નહિ. એલા, ચાર વાંસડા ખોડો. ચારેના છેડા સળગાવો.”
“પણ આપા દેવા ! આના ભડકા આતો ભાઈ કેમ ભાળશે ?”
“આતાભાઈને કહેવરાવો કે લાખણકું બાળવું હોય તો આટલી જ વાર લાગે; પણ તેં ચીતળને માથે જે આદું વાવ્યાં છે, તેનું વેર હું આ માર્ગે ન વાળું.”
“શાબાશ, મારો દેવડો ! તારી ખાનદાનીની ઝાળ આતાભાઈના ગુમાનને ભસ્મ કરી નાખશે.”
“અને આતાભાઈના કાકા કાંયાજીને આપણી હારે લઈ લ્યો; ભાવનગરના ધણીને કહેવરાવો કે વે’લા વે’લા છોડાવવા આવે.”
વરજાંગની દાઝ ભાવનગર પર ઉતારીને દેવો વાળો જેતપુર આવ્યા. કાંયાભાઈને હાથની હથેળીમાં રાખ્યા. દેવો વાળો કહે છે કે, “કાંયાભાઈ આતાભાઈના કાકા, એટલે અમારાયે કાકા. એનાં અપમાન ન હોય.”
આઠ દિવસ રોકીને કાકાને અસવારોની સાથે માનપાનથી પાછા લાખણકે પહોંચાડ્યા.
આશ્રયદાતાને માટે
વરજાંગડો વેરી તણો, સૂબાને માથે સાલ,
બરછી કાઢે બાલ, ધાધલ વાળે ઢોળવે.
છ મહિનાની વસમી રાતો રાણપુરમાં વિતાવી વરજાંગ વળી પાછો એક રાતે ઢોળવામાં લપાયો છે.
બરાબર ભળકડે પછીતેથી કોઈ વટેમાર્ગુ બોલતું ગયું કે,