વેર લેવાનો આથી વધુ સારો રસ્તો બીજો કયો હોય!
વજાને ક્યાંય જંપ વળતો નથી. ઘરની લખમી ગઈ તે દિવસથી એના બધા આનંદો મરી ગયા હતા. એક દિવસ પોતાનો વછેરો સજ્જ કરાવીને પોતે એકલો સહેલગાહે નીકળી પડ્યો. વછેરો ઝાલ્યો રહ્યો નહિ. બહુ દૂર નીકળી ગયો. બપોરને વખતે વજાથી પાછા વળાયું. તરસથી એનું ગળુ સુકાતું હતું. દોડતે ઘોડે એ ગામની બહાર પાણી ભરવાના કૂવા પાસે પહોંચ્યો. કૂવા ઉપર એક બાઈ પાણી ભરતી હતી. વજે વિના ઓળખ્યે કહ્યું.
"બાઇ જરા પાણી પાજો."
"ઠાકોર હવે પાણી દેવા જેવું નથી રહ્યું, ડોળાઈ ગયું છે."
વજાએ એને ઓળખી. એ તો એ જ. આટલો બધો ફેરફાર! આ દશા! મનમાં ઘણી ઘણી યાદો આવવા લાગી; પરંતુ એ તો હવે પરસ્ત્રી ! એની સાથે વાત પણ ન થાય. એણે ઘોડો હાંક્યો.
"ઠાકોર, જરા ઊભા રહેશો ?"
"શું ? બોલો જલદી !"
"તમે મને શા માટે કાઢી મૂકી ? જાણો છો ?"
"ના."
"હું જાણું છું."
"શું ?"
"આંહીં અંતરિયાળ ન કહેવાય. આજ રાતે મારે ઘેર આવશો ? વિગતવાર કહીશ."
"તારે ઘેર ? હવે ?"
"હા, એક વાર. ફરી નહિ કહું."
"ભલે આવીશ - એક પહોર વીત્યે."
ગમે તે થયુ પણ એ વાત સેજકજીને કાને પહોંચી કે 'વજો દુરાચારી છે; રોજ રાત્રિએ પારકે ઘેર જાય છે.'
તે રાત્રિએ વજાએ દરબારની સાથે વાળુ કર્યું. પહોર વીત્યે વજાએ રજા લીધી. રાજા સેજકજી પણ અંધારપછેડો ઓઢીને પાછળ ચાલી નીકળ્યા.
વજાએ શેરી બદલી. દરબાર પણ પાછળ ચાલ્યા. વજો એ કોઢિયાના