પૃષ્ઠ:Rasdhar 1.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

“તું ગમે તે હો, ભા! આંહીં તો રા’ ને રંક તમામનું દાણ લેવાય છે. આ દરિયાની અમારે ચૉકી છે. દાણ તો દેવું પડશે.”

“તમને ભારે પડશે; હું પાદશાહનો વેપારી છું.”

“તો પાદશાહનો કાગળ લઈ આવ, ભા! અને ત્યાં સુધી તારો માલ આંહીં અમે સાચવી રાખશું. ઉતારી નાખ કાંઠે.”

“અરે, પણ મારા વહાણમાં ધૂળ જ છે, બીજું કાંઈ નથી.”

“તોય જગાત તો લેશું.”

દિલ્હીના સોદાગરે પોતાનાં વહાણમાં ભરેલી ધૂળ પેરંભ બેટમાં એક ખોરડાની અંદર ઠાલવી દીધી, અને મોખડા રાજા પાસે પહોંચ લખાવી લીધી. પહોંચમાં ‘ધૂળ' લખાવ્યું હતું. હતી પણ ધૂળ જ. પહોંચ લઈને સોદાગર પાદશાહ પાસે જવા નીકળ્યો.

આંહીં પેરંભમાં શું બન્યું? જે ખોરડામાં સોદાગરની ધૂળ ભરેલી એ ખોરડાની અડોઅડ એક જ પછીતે એક લુહાર લોઢું ઘડે. અડોઅડ જ એની ધમણ ધમાય અને ચૂલ ચાલે. લુહાર રોજ સવારે ઊઠીને ચૂલની રાખ કાઢે છે. અને રોજેરોજ એ રાખમાંથી એને સોનાની કટકીઓ જડે છે. લુહારને અચરજનો પાર ન રહ્યો. એણે મોખડા રાજાને જાણ કરી.

મોખડાજી જોવા આવ્યા, ઝીણી નજરે જોયું. ચૂલની થડોથડ ભીંતમાં એક બાકોરું દીઠું. ઉંદરે ખોદેલા એ ભૉણમાંથી ઝીણી-ઝીણી રજ આવીને દેવતાથી ભરેલી ચૂલમાં ઝરી રહી છે. તપાસ કરતાં જાણ પડી કે આ તો દિલ્હીના સોદાગરની જ ઠાલવેલી ધૂળ. હાથમાં લઈને તપાસે તો અંદર સોનાની ઝીણી કણીઓ ઝગે છે.

“આ તો ધૂળ નહિ; આ તો છે તેજમતૂરી. સોદાગર દાણની ચોરીએ આપણને છેતરી ગયો.”

મોખડાજીએ એ તમામ રજ ગળાવીને સોનું પાડ્યું અને ખોરડામાં દરિયાની રેતી ભરી દીધી.

સોદાગર પાદશાહનો રુક્કો લઈને આવ્યો. મોખડાજીએ રજા દીધી કે “તારી ધૂળ ઉઠાવી જા.”

“આ ધૂળ મારી નહિ” વાણિયો ચમકીને બોલ્યો.