“ચાંપરાજ વાળા ! બીશ નહિ કે ?”
“બીઉં શીદ ? હું રજપૂત છું.”
“ત્યારે અને અપસરાઉં છીએ.”
અપસરાઉં ! આંહીં શીદ ?”
“આંહીં કાલે સાંજે જુદ્ધ થાશે. આ ભાદરમાં રુધિર ખળકશે.”
“તે ?”
“એમાં મોખરે બે જન મરશે. પહેલો તારો ઢોલી જોગડો; ને બીજો તું ચાંપારાજ વાળો. એમાં પહેલા મરનાર સાથે આ મારી મોટેરી બે’નને વરવું પડશે, એટલે ઇ કલ્પાંત કરે છે; ને બીજા મરનાર ચાંપારાજને મારા હાથથી વરમાળા રોપવાની છે; તેથી હું ધોળમંગળ ગાઉં છું.”
ભળકડું વેગે વહી જવા લાગ્યુંને બેય ઓળા સંકોડાવા મંડ્યા.રુદનના સૂર અંધારામાં તૂટતા તૂટતા હેબકાં જેવા બનવા લાગ્યા. થડક છાતીએ ચાંપરાજ પૂછે છે: “હે અપસરા !મારે પાદર જુદ્ધ કેવું ? મેંતો કોઇ હારે વેર નથી કર્યા. વસ્તી ને રાજા વચ્ચે વહાલપ વર્તે છે.”
“ચાંપરાજ ! આંહીં દલ્લીનું કટક ઊતરશે. હાલ્યું આવે છે, માર માર કરતું. એક જણને પાપે તારું આખું પાટ રોળાય છે.”
“કોણ એક જણ ? શું પાપ ?”
“તારો મોચી : એને કોક જોગીએ રાજી થઇ વરદાન માગવાનું કહ્યું:કમતિયા મોચીએ માગ્યું કે ‘હું ચિંતવું તે હાજર થાય. ‘બોલે બંધાયેલ જોગીએ તપસ્યા વેચીને એક દીવી ઉતારી મોચીને દીધી, કહ્યું કે ‘જા, ગમાર ! પ્રગટજે. ચાર દૂત નીકળશે, કહીશ તે કરશે. કૂડ માગીશ તો તરું નગર રોળાશે.’ ”
“પછી?”
“પછી તો,ચાંપરાજ ! મોચીડે મધરાતે દીવી પ્રગટી. ચાર ફિરસ્તા નીકળ્યા. કામીએ માગ્યું કે દિલ્હીની શાહજાદીને પલંગ સોતી આણો.!”
ચાંપરાજના હૈયામાંથી અંધારે નિસાસો પડ્યો.
“પછી તો, ચાંપરાજ !રોજ રાતે શેજાદીને પલંગ સોતી મંગાવે. ફૂલ જેવી શૅજાદી ચામડાંની દુર્ગંધે જાગી જાય, મૃગલાં જેવી આંખો ઉઘાડીને