પૃષ્ઠ:Rasdhar 2 - C.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
આંચળ તાણનારા !
૧૨૭


મૂળુ માનવીએ, માણો કીં મીંઢાવીએ,
અરસ ઇંદ્ર તણે, તું નરખેવો નાગાઉત !

નાગ ખાચરના પુત્ર, મૂળુ ખાચર, આરસની દેવમૂર્તિ હોય તેને

જેમ દેવ સાથે નથી સરખાવાતી, તેમ માનવીને તારી સાથે ન સરખાવાય. અર્થાત્, તારો દેહ માનવીનો છે, પણ તું પોતે તો દેવ છો.[૧]

સિત્તેર વરસના, શ્વેત રૂપેરી દાઢીમૂછે શોભતા મૂળુ ખાચર ગામતરે જતા હતા. ભેળા પંદર-વીસ અસવારો હતા. એમાં સામે રસ્તે આવતા ક્યાડી ઘોડીના અસવાર ઉપર એની નજર પડી. પૂછયું : “ભાઈ, પાંચાળમાં ઉઘાડે માથે ભમનારો આ કોણ આવે છે ? પાઘડી કે પનિયું કાંઈ કાં નથી બાંધેલ ?”

અસવાર નજીક આવ્યો. એાળખાયેા : “આપા, આ તો કેશવદાસ ગઢવી.”

“ગઢવી, રામ, રામ ! આમ ઉઘાડે માથે કાં ?”

કેશવદાસે રામરામ ન કર્યા. એની આંખોમાં આંસુડાં હતાં. એણે દુહો ગાયો :

જોગાહર, જાચણ તણી, ધાયું કાન ધર્યે,
કાઠી, કટક કર્યે, મૂળવા, ટીકર મારવે.

હે જોગા ખાચરના પૌત્ર, મૂળુ ખાચર, યાચકની –ચારણની– ચીસને કાને ધરજે. હે કાઠી, દળકટક લઈને ટીકર ગામને રોળી નાખજે ! પછી જ રામ રામ કરશું. પછી જ હું માથું ઢાંકીશ. આજ હું ક્યા શૂરવીરની લાજે માથું ઢાંકું ! હાય હાય, મૂળુ ખાચર ! પાંચાળમાં કોઈ સૂરજ-પૂતર નથી રહ્યો ત્યારે જ સાહેબ રજપૂતો વગડામાં અંતરિયાળ આપણી બેનદીકરિયુંનાં થાન ઉપર નજર નાખે ને !

“કેશવદાસ, તમે આ શું બોલો છો ?”


  1. નાગ ખાચરના પુત્ર, મુળુ ખાચર, તને અન્ય માનવીઓ સાથે શું સરખાવવો ? અમે તો તને સ્વર્ગપતિ ઈન્દ્ર બરાબરીનો – અર્થાત દેવરાજા રૂપ જ જોયો છે.