પૃષ્ઠ:Rasdhar 2 - D.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮
મૂળુ મેર

ઇ. સ. ૧૭૭૮ની સાલમાં પોરબંદરના રાણા સરતાનજીએ નવાનગરના સીમાડા ઉપર પોતાના વડાળા ગામમાં એક વંકો કિલ્લો બાંધ્યો, અને તેનું નામ “ભેટાળી”[૧] પાડયું. આજ પણ એ કિલ્લાના ખંડેર ગમે તે ઠેકાણે ઊભા રહીને જોઈએ, તો એના ત્રણ કોઠા દેખાય, ચેાથો અદશ્ય રહે : એવી તેની રચના કરી હતી.

એક દિવસ નવાનગરનો એક ચારણ ત્યાંથી નીકળ્યો. તેણે એ કિલ્લો જોવાની માગણી કરી. કિલ્લાના રખેવાળ મેર મૂળુ (મીણુંદના)એ ના પાડી, તેથી નગરનો ચારણ સ્ત્રીને વેશ પહેરીને જામ સાહેબની કચેરીમાં ગયેા. જામ જસાજીએ પૂછયું : “કવિરાજ, આમ કેમ ?”

ગઢવી બોલ્યો : “અન્નદાતા, મારો રાજા બાયડી છે એટલે મારે પણ બાયડી જ થાવું જોઈએ ના ?” ગઢવીએ દુહો કહ્યો :

ઉઠ અરે અજમાલરા, ભેટાળી કર ભૂકો,

રાણો વસાવશે ઘૂમલી, (તેા) જામ માગશે ટુકો.

જસા જામે બધી હકીકત જાણી. એને ફાળ પડી કે નક્કી જેઠવો વડાળાના ગઢની સહાયથી પાછો ઘૂમલી નગર હાથ કરી લેશે.

જામ પોતાના જમણા હાથ જેવા જોદ્ધા મેરુ ખવાસને

આજ્ઞા કરી કે ભેટાળીને તેાડી નાખો. નગરના સેનાપતિ મેરુ


  1. ભય ટાળનાર
૧૬૮