પૃષ્ઠ:Rashtrika - Gu - By Ardeshar Khabardar - 1940.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૮
રાષ્ટ્રિકા
 


મટુભાઈ*[૧]

પદ[૨]

પોહ ફાટ્યો ને ફૂટ્યા ધોધવા રે,
તૂટ્યા આભતણા અંધાર જો :
સૂરજદેવે કિરણો મોકલ્યાં રે,-
ચાલ્યો આત્મા ભરઝલકાર જો :
ધન્ય જીવન તારું, હો વીરલા રે ! ૧

તેજે વ્યોમ ધરા સહુ તગતગે રે,
ઝળહળતા ઝૂલે બપ્પોર જો,
વીરા ! ચાલ્યો કિરણે મહાલતો રે :
અમ હૈયે અંધારાં ઘોર જો :
અદ્‍ભૂત તારા મારગ ઊઘડ્યા રે ! ૨


  1. * "સાહિત્ય" માસિકના વિખ્યાત તંત્રી સ્વર્ગસ્થ મટુભાઇ હરગોવિંદદાસ કાંટાવાળા. મરણ તા. ૧૫ મી નવેમ્બર ૧૯૩૩. હું બહુ માંદો હોવાથી એમના ઓચિંતા અવસાનના સમાચાર મેં તા. ૨૦ મીની બપોરે (પાંચ દિન પછી) “ગુજરાતી" પત્રમાંથી જાણ્યા. ભાઇ મટુભાઇ મારા પરમસ્નેહી હતા એ તો ગુજરાતની સાહિત્યરસિક જનતાને ખબર છે. એમના અવસાનથી મારા હૃદયને કદી ન પૂરાય એવી ખોટ ગઇ છે. લાગણીનાં પૂર અશ્રુધારે વહેતાં વહેતાં તે જ સાંઝે આ કાવ્ય લખાયું, પણ મૌનની વ્યથા વાણીમાં સમાઇ નથીજ શકતી. એટલે વ્યથાના મૌનમાં જ એ સૂર પાછા સમાયા.
  2. "ઓધવ ! એક વાર ગોકુળ સંચરો રે !" - એ ચાલ