પૂરી ખાતરી થઈ ગઈ. હવે એ ચંદ બરદાઈને વિદાય કરવાને બહાને પુષ્કળ ધન તથા હાથી, ઘોડા અને અલંકાર લઈને પોતાના સિપાઈઓ સહિત ચંદને ઉતારે ગયો, સૈનિકોને આજ્ઞા હતી કે ચંદના સાથીઓમાંથી કોઈ પણ નાસવા ન પામે તેની ખાસ ખબર રાખવી, પરંતુ એ સમયે પૃથ્વીરાજે એવી કુશળતાથી પોતાનો વેશ બદલ્યો હતો કે, કેવળ શક ઉપરથી તેને પકડી લેવાની હિંમત જયચંદની ચાલી નહિ. એ પોતાના રાજમહેલમાં પાછો ફર્યો. કવિ ચંદની ખ્યાતિ સત્યવક્તા તરીકે હતી. રાજાએ તેને બોલાવીને પૂછ્યું ત્યારે ચંદે સ્પષ્ટ જણાવ્યું કે, “પૃથ્વીરાજ આ સમયે કનોજમાં છે.” રાજાએ ચંદને તો વિદાય કર્યો અને તરતજ પોતાના ભાણેજની સરદારી નીચે ચંદના પડાવને ઘેરો ઘાલીને પૃથ્વીરાજને જીવતો પકડી આણવા એક મોટી સેના મોકલી.
પૃથ્વીરાજ અને તેના સામંતોને પણ એ વાતની ખબર પહોંચી ગઈ. તેઓ પણ યુદ્ધ કરત્રાને સજ્જ થયા. બન્ને પક્ષ વચ્ચે ઘોર યુદ્ધ જામ્યું અને પૃથ્વીરાજનો સામંત લંગરીરાય તથા જયચંદનો મંત્રી અને ભાણેજ આ યુદ્ધમાં માર્યા ગયા. હવે જયચંદ પોતે યુદ્ધક્ષેત્રમાં પહોંચ્યો. પંગુરાયને સેનાપતિ બનાવી યુદ્ધનું કામ તેને સોંપીને પૃથ્વીરાજ નગરની તરફ ગયો અને અંતઃપુરની પાસેના ગંગાના ઘાટ ઉપર જઈ પહોંચ્યો. એજ મહેલમાં સંયુક્તા કેદ હતી. એણે પૃથ્વીરાજને ઓળખ્યો.
એટલામાં પૃથવીરાજના ઘોડાના ગળામાં લટકી રહેલા મોતીઓના હારમાંથી એક મોતી તૂટીને ગબડતું ગબડતું ગંગામાં જઈ પડ્યું. માછલીઓ તેને પોતાનું ભોજન સમજીને ખાવા સારૂ દોડવા લાગી. પૃથ્વીરાજે એ જોઇને હારમાંથી એકેએક મોતી તોડીને નદીમાં નાખવા માંડયાં, સંયુક્તાને પણ આ તમાશો જોવામાં આનંદ આવ્યો. તેણે પોતાની એક સખીને મોતીની થાળી લઈને મોકલી. પૃથ્વીરાજે એ થાળમાંનાં બધાં મોતી માછલીઓને સારૂ નદીમાં નાખી દીધાં. એ દાસી દ્વારા પૃથ્વીરાજને સંયુક્તાની એ વખતની દશાની ખબર પડી તથા જાણ્યું કે સંયુક્તા પ્રેમવિહ્વળ બનીને અત્યારે એ જ મહેલમાં નિવાસ કરી રહી છે. દાસીએ પૃથ્વીરાજની સાથે થયેલી વાતચીત સંયુક્તાને જણાવી. દાસીની મારફત પૃથ્વીરાજ અંતઃપુરમાં ગયો. ત્યાંજ બંનેનો ગાંધર્વવિવાહ થયો અને સંયુક્તાના આગ્રહને