પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૧૨
ભારતની દેવીઓ - ગ્રંથ ૨ જો



રાજાએ કહ્યું કે, “કાલે શનિવાર છે એટલે પરમ દિવસે શત્રુની સેના સાથે યુદ્ધ થશે.”

આ શબ્દો સાંભળીને આલ્હાએ કોધપૂર્વક કહ્યું: “આ૫ સર્વે શત્રુનું પ્રજાપીડન અને આક્રમણ જોઇ રહ્યા છો, છતાં પણ યુદ્ધને પરમદિવસ ઉપર મુલતવી રાખો છો ! જે ક્ષત્રિય એવા પ્રસંગે શિથિલતા રાખે છે, તે અવશ્ય નરકગામી થાય છે અને જે યોદ્ધાઓ બીજી કોઈ પણ વાતનો વિચાર કર્યા વગર પોતાનું કર્તવ્યપાલન કરે છે, તે સ્વર્ગનું સુખ ભોગવે છે અને તેનું નામ ચિરકાળ સુધી ઈતિહાસમાં પ્રસિદ્ધ રહે છે.”

રાજા ચૂપચાપ રાણી મીનળદેવીની પાસે ગયો. તેણે પણ તત્કાળ યુદ્ધમાં જવાની સલાહ આપી અને કહ્યું કે, “હમણાં ને હમણાં તમે આપણી સેનાના અધ્યક્ષ બનીને યુદ્ધક્ષેત્રમાં સિધાવો.”

વીરયોદ્ધાઓ એ રાતે શાંતિપૂર્વક સૂઈ રહ્યા. પ્રાતઃકાળે ઊઠીને ધર્મ સંબંધી નિત્ય નિયમિત કાર્યો કરીને, પોતાની માતાઓ તથા પત્નીને મળીને તેઓ યુદ્ધને માટે વિદાય થયા. જતી વખતે આલ્હાએ પોતાની માતા આગળ પોતાની પ્રતિજ્ઞા ફરીથી કહી સંભળાવી કે, “આજ હું યુદ્ધમાં મારૂં અને મારા પિતા જસરાજનું નામ પ્રસિદ્ધ કરીશ. આજ હું જગતને બતાવી આપીશ કે, હું દેવળદેવી જેવી વીર માતાનો પુત્ર છું.”

ઉદલે કહ્યું: “હું પણું આપનું અનુકરણ કરીશ.”

દેવળદેવીએ કહ્યું: “જાઓ, બેટા જાઓ. ઈશ્વર તમારા સંકલ્પ પૂર્ણ કરશે.”

એ યુદ્ધમાં આલ્હા અને ઉદલે એટલું બધું પરાક્રમ બતાવ્યું કે, આજ પણ ‘આલ્હાખંડ’ ઉત્તર હિંદુસ્તાનમાં ઘેરઘેર વંચાય છે અને દુર્બળ હૃદયમાં પણ અપૂર્વ વીરતાનો સંચાર કરે છે.

આલ્હા અને ઉદલનાં આખ્યાનોથી સાબિત થાય છે કે, વીરમાતાના પુત્રોજ વીર નીવડે છે. દેવળદેવીએ તેમને યોગ્ય સમયે સ્વામીભક્તિનો ઉપદેશ ન કર્યો હોત તો પોતાનું પરાક્રમ દર્શાવવાનો એ સરસ પ્રસંગ ફરીથી તેમને ન મળત.