નાગડા ! નાગરવેલ, પોળી પાથરિયે નહિ;
મોરલિયું મા મેલ, (તેને) નાટક રમાડું નાગડા.
નાગડા નાગરવેલ, તું કૌં રાફડ રોકી પેઓ ?
નીકળ નીકળને છેલ, હું વાદણ વગાડું મોરલી.”
નાગરવેલનું મૂળ નામ ‘નાગલતા’ છે, તેથી નાગમતી કહે છે કે, “હું નાગવલ્લી જેવી તારી પ્રિયતમા ઊભી છું અને તું કેમ ઘોર નિદ્રારૂપ રાફડામાં પડ્યો છે ? હું વિયોગના વિલાપરૂપે મોરલી વગાડું છું, માટે હે છેલ ! તું બહાર આવ.”
એણે વિલાપ આગળ ચલાવ્યો :—
“કાંધે કરંડિયો લઈ, વગાડું છત્રીશે રાગ;
(તું) જાગને વાળા નાગ ! આ વેષ જોવા વાદાણ તણો ?”
કિનારે આવેલું પોતાનું આશારૂપી વહાણ ડૂબ્યું, એ વિચારથી એ કહેવા લાગી :—
“વોળાતણાં વહાણ, આવ્યાં સાયર ઝૂલતાં;
(પણ) ઊંડા જળ એ લાણ, (ત્યાં) નાગર તૂટ્યાં નાગડા !”
એ વીર કન્યાને વળી વિચાર આવ્યો કે, સ્વામી યુદ્ધ કરતાં વીરગતિને પામ્યો હોત તો મને આટલો ખેદ ન થાત, પણ આ તો મારા પ્રેમની ખાતર આપઘાત કરીને દેહનો અંત આણ્યો, એથી મારું હૃદય ચિરાઈ જાય છે.
“શરતણિયા સુજાણ ! સૂતે રણ સજિયે નહિ;
(મુજ) વીંધે કાળજ (ને) પ્રાણ, (તું) લોહીમાં લોટ્યા કરે.”
વિલાપમાં ને વિલાપમાં રાત્રિ સમાપ્ત થઈ. એણે જોયું કે હવે આ દેહે તો નાગવાળાનો મેળાપ થવો એ અસંભવિત છે. એણે કેશ છોડી નાખ્યા અને પતિની સાથે સતી થવા નિશ્ચય કર્યો.
પેલી તરફ રાજકુમારીના ગુમ થયાના સમાચાર વહાણું વાતાંજ રાજમહેલમાં જાહેર થયા અને કાનસૂવો ભેડો શોધ કરતો કરતો પાવડિયારાના શિવાલયમાં જઈ પહોંચ્યો. ત્યાં એણે સતી થવાને તૈયાર થયેલી પુત્રીને જોઈ. પિતાને જોતાંજ નાગમતી બોલી ઊઠી:—