પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

१४६–कलावती

ધ્ય ભારતમાં એક નાના સરખા રાજ્યના રાજા કરણસિંહની એ રાણી હતી. દિલ્હીના બાદશાહ અલાઉદ્દીને એક વખત રાજા કરણસિંહના રાજ્ય ઉપર ચઢાઈ કરી. રાજા કરણસિંહનું રાજ્ય ઘણું નાનું હતું. બાદશાહની સેનાના પ્રમાણમાં એની પાસે સૈન્ય પણ વધારે નહોતું; પરંતુ એમ છતાં પણ એ પોતાના ક્ષાત્રધર્મ અનુસાર બળિયા સાથે બાથ ભીડવા તૈયાર થયો. શત્રુથી ભયભીત થઈને યુદ્ધ કર્યા વગર તેને શરણે જવું એ ક્ષત્રિયને મનથી મોટામાં મોટું પાપ અને શરમનું કાર્ય છે; એટલે પછી રાજા કરણસિંહ જેવો સારો રજપૂત બાદશાહના આક્રમણ વિરુદ્ધ યુદ્ધ કરવાના કર્તવ્યથી પરાઙ્મુખ કેવી રીતે થાય ? એ તરતજ યુદ્ધની તૈયારી કરીને દેશનું રક્ષણ કરવાને માટે રણભૂમિમાં જવા તૈયાર થયો. પોતાના પતિને યુદ્ધને માટે તૈયાર થયેલો જોઈને રાણી કલાવતી પણ ઢાલ તલવાર બાંધીને પુરુષવેશ સજીને, ઘોડેસવાર થઈ પતિની સાથે ગઈ. રણક્ષેત્રમાં યુદ્ધ આરંભાયું. ધીમે ધીમે યુદ્ધની ભીષણતા વધવા લાગી. થોડા સમય સુધી તો બન્ને પક્ષના યોદ્ધાઓ ઘણી વીરતાથી યુદ્ધ કરતા રહ્યા. પોતાની સંખ્યા થોડી હોવાથી રજપૂત વીરો પ્રાણનો મોહ બિલકુલ છોડી દઈને તલવાર ચલાવવા લાગ્યા. અસાધારણ વીરતા અને સાહસથી એ મુસલમાન સૈન્યના સિપાઈઓનાં માથાં ઉડાવી નાખતા ગયા. એ યુદ્ધમાં રાણી કલાવતી ઘણી વીરતાથી પતિને મદદ આપી રહી. હતી. જે તરફ રાજા કરણસિંહ શત્રુઓની સાથે લડી રહ્યા હતા, તેજ તરફ એ પણ પોતાનું રણકૌશલ્ય બતાવી રહી હતી, તેમજ પોતાના પતિના અંગરક્ષણનું કામ પણ કરતી હતી. રાજાને યુદ્ધમાં ઘણા તલ્લીન થયેલા જોઈને વિરુદ્ધ પક્ષનો એક સિપાઈ ડાબી તરફથી આવીને તેમના ઉપર તલવારનો ઘા કરવા જતો હતો;

૩૬૦