કેટલા સમય પછી તે ચોક્કસપણે કહી શકાતું નથી.
વિજ્જકાનાં કેટલાંક પદ્યોને અલંકારશાસ્ત્રનાં સંસ્કૃત ગ્રંથમાં દાખલારૂપે ટાંકવામાં આવ્યાં છે. મમ્મટાચાર્યે પોતાના શબ્દવ્યાપાર વિચારમાં એના બે શ્લોક ઉતાર્યા છે. કાવ્યપ્રકાશના ચોથા ઉલ્લાસમાં પણ એનું એક પદ્ય ઉદાહરણરૂપે આપવામાં આવ્યું છે. જે જે ગ્રંથોમાં એનાં પદ્ય ઉદાહરણરૂપે આપવામાં આવ્યાં છે, તે ગ્રંથકારોના સમય ઉપરથી અનુમાન કરાય છે કે વિજ્જકાનો આવિર્ભાવ આશરે ઈ○ સ○ ૭૧૦ અને ૮૫૦ની વચમાં થયેલ હોવો જોઈએ. વિજ્જકાનો જન્મ કદાચ દક્ષિણ દેશમાં થયો હોય એમ પણ અનુમાન થાય છે.
એની ઘણી ખરી કવિતામાં શૃંગાર રસ મુખ્ય છે. ભાવ બંધબેસ્તો રાખવામાં આવે છે. સ્વાભાવોક્તિ ઘણી હોય છે.
એનાં કાવ્યનો રસ પણ જરા ચાખી લો:—
कवेरभिप्रायमशब्दगोचरं स्फुरन्तमार्द्रेषु पदेषु केवलम् ।
वदभ्दिरङ्गैः कृतरोमचिक्रियैर्जनस्य तूष्णीं भवतोऽयमंजलिः ।।
સારાંશ કે:—
“શબ્દોમાં ગોચર ન થાય એવું કવિના કાવ્યનું રહસ્ય કેવળ મૃદુ પદમાંજ સ્ફુરેલું હોય છે, માટે કવિના ગૂઢ અભિપ્રાયને જાણીને જે કોઈ રસિક શબ્દ દ્વારા કાવ્યાનંદની સૂચના નથી આપતો, પરંતુ ચૂપચાપ બેસી રહેવા છતાં પણ જેના રોમાંચિત અવયવ એના હૃદયમાં મચી રહેલી આનંદલહરીને સાફ શબ્દમાં સૂચવે છે તેજ ખરો રસિક છે અને એવા રસિક શિરામણિને હું પ્રણામ કરું છું.”
બીજા એક શ્લોકમાં કહે છે કે, “હે ચંપાના છોડ ! તને કોણે આ વાડીમાં રોપ્યો છે? જાણતો નથી કે એની આસપાસ દુષ્ટ જનોની વસ્તી છે, કે ઊગેલા નવા શાકમાં વધારો કરવાના લોભ ખાતર ગાયે ભાંગેલી વાડ સમી કરવાને લાચક તારાં પલ્લવને એ લોકો ગણે છે.”
ડાંગર છડવાનું વિજ્જકાએ સુંદર અને સ્વાભાવિક વર્ણન કર્યું છે. સ્ત્રીઓ ચીકણા તથા સુંદર સાંબેલાથી ડાંગર છડી રહી છે. એ કાર્યમાં એમના ચંચળ હાથ ચાલવાથી ચૂડીઓ પરસ્પર અથડાય