પૃષ્ઠ:Rupsundari ane Bija Stree Ratno.pdf/૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૧
રાણકદેવી



કે, “આ છોકરાને અહીંયાં મારશો નહિ. જે વખતે રાણકદેવી પાટણમાં પેસવાને આનાકાની કરશે, તે સમયે તેને પાટણને દરવાજે ઠાર કરજો.”

આ પ્રમાણે કહીને સિદ્ધરાજ રાણકદેવીને બળાત્કારથી પાટણ તરફ લઈ જવા લાગ્યો, પરંતુ રાણકદેવીના મનમાંથી પતિભક્તિ લેશ પણ ઓછી થઈ નહોતી. શિયળનું ગમે તેટલા જોખમે પણ રક્ષણ કરવાનો તથા પતિની પાછળ સતી થવાનો તેણે મનમાં સંકલ્પ કર્યો હતો. રાણકદેવીને ગઢમાંથી બહાર લઈ જતા હતા તે વખતે રા’ખેંગારનો ઘોડો તેની નજરે પડ્યો. એ ઘોડાને જોઈને એ ઘણું દિલગીર થઈને બોલી:—

“તરવરિયા તોખાર, હૈયું ન ફાટ્યું હંસલા !
મરતા રા’ખેંગાર, ગામતરાં ગુજરાતનાં,”

થોડી વાર પછી રા’ખેંગારનો સાબરશૃંગ તેના જોવામાં આવ્યો, તેને જોઈને તેણે નીચેના ઉદ્‌ગાર કાઢ્યા :—

“રે ! સાબર શૃંગાળ, એક દિન શૃંગાળાં હતાં;
મરતા રા’ખેંગાર, ભવનાં ભીલાં થઈ રહ્યાં.”

થોડી વાર પછી મોરને કેકારવ કરતો સાંભળી તેણે કહ્યું :—

“કાંઉ કે ગચ્છ મોર, ગોખે ગરવાને ચડી;
કાપી કાળજ કોર, પિંજર દાઝ્યો પાણિયે.”

સારાંશ કે, “અરે મોર ! ગિરનારની બારીએ ચઢીને શું કામ ટહૂકે છે ? મારા કાળજાની કોર કાપીને, મારું પાંજરૂં (ઘર) પાણીએ બળ્યું છે; એટલે કે મારા સગા ભાણેજે મારૂં ઘર ભંગાવ્યું છે.”

જરા આગળ ચાલતાં પતિ રા’ખેંગારની લાશ રાણકદેવીની દૃષ્ટિએ પડી. તેને જોઈને એ શોકાર્ત્ત રાણી બોલી ઊઠી:—

“સ્વામી ! ઊઠો સૈન્ચ લઈ, ખડગ ધરો ખેંગાર;
છત્રપતીએ છાઈઓ, ગઢ જૂનો ગિરનાર.”

પછી દામાકુંડ આગળ આવતાં તે પતિવ્રતા નારી બોલી:—

“ઊતર્યા ગઢ ગિરનાર, તનડું આવ્યું તળાટિયે;
વળતાં બીજી વાર, દામો કુંડ નથી દેખવો.”

પછી ધારગર નામની વાડી પાસે આવીને તે બોલી કે:—