પૃષ્ઠ:Samarangan.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
226
સમરાંગણ
 

 એક વાત : પરદેશી દફેદારની – મારા નાગની ઓરત રાજુલને કોઈ કનડે નહિ એમ ધ્રોળના ધણીને કહેજો.”

ગોપાળ બારટે કહ્યું : “બાપા, હું જનેતાની ગાળ નહિ ઉતારું તો સૂરજ ઊગશે કેમ ? ગંગા વહેશે કેમ ? મેરુ ઊભશે કેમ ? પણ હું જખમે વેતરાયેલ છું. કુંવરનું લૂગડું હું નહિ લઈ શકું. પણ માડી ! તમે ભેળાં હાલો, બતાવું.”

રાજુલ નાગના શબ પાસે બેઠી રહી. બીજી બે જણીઓ જઈને કુંવર અજાના શબ પાસે બેસી ગઈ. વૃદ્ધાએ એ અબોલ ઓરતના કાનમાં આટલું જ કહ્યું : “વારણાં લ્યો, કુંવરીબા ! આ એ જ છે.”

અબોલ ગાંડીએ લાશ પર હાથ ફેરવ્યો. અને કેટલાંય વર્ષો પછી આજ એને મોંયે રુદન ફૂટ્યું : “વીરા મારા હો...”

એને રડતી મૂકીને ડોશી અજાજીની પિછોડી લઈ વજીરના દેહ પાસે આવ્યાં. એણે પૂછ્યું : “હું ઓઢાડું ?”

“તમે, હા, તમે – જુઓને – તમે જ ઓઢાડતાં ઓઢાડતાં ભાગેલાં. – હેં – જુઓને –”

એટલું બોલીને પિછોડી ઓઢ્યા પછી વજીરનો પ્રાણ વછૂટી ગયો.

અધરાત પછીના ચંદ્રે આંખ ઉઘાડી ત્યારે પણ આ ત્રણેય ઓરતો વજીરના, નાગના ને અજાજીના શબ પાસે બેઠી હતી. એ ત્રણેયને ત્યાં જ બેઠેલી જોતાં જોતાં પ્રભાતના સુરજભાણ પણ આકાશે ચડ્યા અને વાયરા હુહુકારે બોલી ઊઠ્યા : ભૂચર મોરી ! ભૂચર મોરી ! ભૂચર મોરી !

[સંવતુ સોલ અડતાલીસે
સાવણ માસ ઉદાર,
જામ અજો સુરપુર ગયા
વદ સાતમ બુધવાર
જેસો, ડાયો, નાગડો,
મેરામણ દલ, ભાણ,