અન્નદાતા, એમ ઇચ્છું છું કે આપણે સૌરાષ્ટ્રનાં રાજ્યોમાં એકરસ બની જવું ને ઇસ્લામને આંહીંથી હઠાવવો.”
“આપણે સોરઠની એકતા માટે ઠાલા ખુવાર શા સારુ મળવું જોવે, જેસાભાઈ ? મારતા મિયાંની તલવારનો મુલક છે. હું તો સુલતાનનો ટેકો લઈને પણ જામની રૈયાસતના ઊંડા પાયા રોપવા માગું છું. તે વગર આપણને પરદેશીઓને આ વસ્તી જંપી બેસવા નહિ આપે. તમે પાછા આવો એટલે આપણે અમદાવાદ જઈ આવીએ.”
“આપણી પાસે નજરાણો મૂકવાનાં નાણાં નથી, અન્નદાતા.”
“તમે ય ભલા આદમી છો, જેસાભાઈ, હું સુલતાનને ઘેરે નાણાં સોંપવા નહિ પણ નાણાંનું ઝાડવું ખંખેરવા જાવાનું કહું છું.”
“શી રીતે?”
“એ અત્યારે નહિ કહું. એક જ મેહમદી રૂપૈયે સુલતાનને રાજીરાજી કરી નાખવાની એક કરામત મારા મનમાં રમે છે. પણ આજથી કોઈને નહિ કહું. તમે ય મારી અક્કલ ઉપર આફરીન બની જશો. જેસાભાઈ ! જોઈ રાખજો.”
“મને તો, અન્નદાતા ! સોરઠની એકસંપી કરવા સિવાય કોઈ બીજી કરામતમાં અક્કલ વટાવી નાખવાનું ગમતું નથી.”
“તમારો જમાનો જૂનો થયો ખરો ને !”
“બીજું કાંઈ નહિ, પણ આપણે કચ્છને ચૂંથી નાખ્યું છે, હવે કાઠિયાવાડને ન ચૂંથીએ. પછી તો જેવી ધણીની મરજી.”
એટલું કહીને જેસો વજીર ઊઠ્યા. સતો જામ એને વળાવવા ઊઠ્યા. બારણા સુધી ગયા ને પછી હસ્યા : “જેસાભાઈ ! મને તો હજી ય સાંજનું નદીકાંઠાનું રોનક યાદ આવે છે. એ જોરારનો તે કોણ ?”
“અન્નદાતા !” જેસાભાઈએ અરજ કરી : “હવે કોઈ વાતે માફ રાખવું છે કે નહિ ? મારાં પળિયાં માથે તો એટલી મહેર કરો !”
“શું છે પણ, તમારે ને એને કાંઈ...”
“કાંઈ તો બીજું શું ? મારું પેટ છે.”