પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૭૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨પપ

ચંદ્રનો હતો અને તે આશ્રય ન્હાનોસુનો ન હતો, પરંતુ સરસ્વતીચંદ્ર પોતાની મેળે જ સહાયભૂત થઈ પડે ત્યારે જ તેનો આશ્રય ચંદ્રકાંત સ્વીકારતો. ચંદ્રકાંતે કાંઈ માગ્યું છે એ વારો આવ્યો ન હતો. દુઃખ ખમી, હરકત ભોગવી, બેસી ર્‌હેવું એ હા, પણ ચંદ્રકાંતનો આત્માભિમાની ચિત્તોદ્રેક નમ્યું આપે તેની ના હતી. ધનાઢ્ય અને , પોતાનાથી વધારે વિદ્વાન ઉપકારક મિત્ર પાસે તેની મિથ્યાપ્રશંસા (ખુશામત) કરવી તો શું પણ પ્રિયવચન કહેવું તે પણ તે સમજતો ન હતો. અા નિઃસ્પૃહી સ્વતંત્રતાને લીધે સરસ્વતીચંદ્રની તેનાપર અનુપમ પ્રીતિ થઈ હતી. પરંતુ વિદ્વાન અને ઉચ્ચ પદવીએ પહોંચેલા પણ દાસત્વના જે સંસ્કારવાળા વિદ્યાચતુરને આ સર્વ અપરિચિત હતું. ઈશ્વરના તરફથી જેમાં દેાષ ન આવી જતો હોય એવા વિષયમાં મ્હોટાંનું મન રાખવું એ તે આવશ્યક ગણતો હતો. પરવૃત્તિનું અનુસરણ કરવું અને લોકાચારથી વિરુદ્ધ ન દેખાવું એ કળાઓ સંપાદ્ય ગણતો હતો. પોતે પણ ઉચ્ચ પદવી પર હતો; એટલે અનુકૂળ ઉત્તર જ સાંભળવાનો અભ્યાસ હતો, ઈચ્છા દર્શાવતામાં જ તેને આજ્ઞા ગણી અનુસરનાર વર્ગ જ એની દ્રષ્ટિમર્યાદાને ભરી રાખતો, અને ઉઘાડી આત્મપ્રશંસા થવા પોતે ન દેતો તોપણ પરપ્રશંસાના પ્રવીણ અને પ્રધાનની પ્રીતિ ઈચ્છનાર અધિકારીયો, 'આ ગુણ તમારો છે અને તે આવો સારો છે ' એમ ઉઘાડું ક્‌હેવાની રીત છોડી દઈ પ્રધાનને પોતાના કીયા ગુણનું ભાન છે એ શોધી ક્‌હાડી, એકલા તે ગુણની પ્રશંસા કરતા, પ્રધાને કરેલાં કંઈ કંઈ કાર્યોમાં દક્ષતા અને અપૂર્વતા બતાવી આપતા, અને પ્રધાનનાથી ઉલટી રીતિએ ચાલનારને હસી ક્‌હાડતા. પ્રશંસાના કરતાં આ સર્વની અસર વધારે થતી અને સાવધાન છતાં પ્રધાન ભુલ ખાઈ ઘણી વાર એમ કલ્પતો કે મ્હારી બુદ્ધિ સર્વમાન્ય છે. અાવા અાવા સંસ્કારોના અભ્યાસીને ચંદ્રકાંત જેવો ઉત્તર આપનાર મળતાં નવીનતા લાગી, મૂર્ખતા પ્રત્યક્ષ દેખાઈ ઉદ્ધતતા મૂર્તિમતી થઈ જણાઈ અને બાલિશતા અને અવિનીતતાના અવતારનું દર્શન થયા જેવું થયું. પણ એનો ઉપાય ન હતો. ચંદ્રકાંત પોતાના હાથ નીચેનો માણસ ન હતો. 'એને શું કરવું ? શું ક્‌હેવું ? ક્‌હેવું ત્હોયે નિરર્થક ! હશે ! આપણે શું ? કોઈ વખત ખત્તા ખાશે ત્યારે ઘણોયે ઠેકાણે આવશે.–

उपदेशो न दातव्यो याद्दशे ताद्दशे नरे
पश्य वानरमूर्खेण सुगॄही निगृही कृता ॥'

એ વિચાર કરી શાંત પડી મનમાં પુષ્કળ હસ્યો. “ અાની સાથે શું બોલવું ?” એમ જ લાગ્યું. “આ મુંબાઈગરી માંકડાની જાત ! તે વળી