પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

બુદ્ધિધન પોતાના ખંડમાં ગયો તો સૌભાગ્યદેવી ઉભેલી. સર્વે ચિંતા તે ઘડીક ભુલી ગયો. દેવીનો તેણે હાથ ઝાલ્યો અને આજનો દિવસ કેમ ગાળ્યો એ ખબર પુછી. દેવીએ નીચું જોયું – ઉત્તર દીધો નહી. અમાત્ય બોલ્યો :– "આજનો દિવસ ઉત્સવનો છે અને કાલ પણ ઈશ્વર કરશે તો આજના જેવી જ જશે. દેવી, હું માંદો માંદો ! બક્યો હતો તે સાંભરે છે ? કાલ પોશાક મળ્યા પછી પ્રથમ મ્હારે દયાશંકર કાકાને પગે લાગવું છે – માતુઃશ્રીને ઠેકાણે કે પિતાને ઠેકાણે હવે એ જ છે.” દેવી ખુશી થઈ.

“લીલાપુરમાં આપણે રહેતાં હતાં અને નિર્ધન હતાં ત્યારે આપણે બારીયે બેઠાં હતાં અને મેડમ સાહેબ મેનામાં બેસી જતાં હતાં તે જોઈ ત્હેં શું કહ્યું હતું તે સાંભરે છે ? મ્હેં એક મેનો ત્હારે સારુ છાનોમાનો તૈયાર કરાવી મુક્યો છે. કાલથી ત્હારે રોજ એમાં બેશી પ્રાત:કાળે રાજેશ્વરનાં દર્શન કરી આવવાં. અાજનો દિવસ એ એમના જીણોદ્ધારનો પ્રતાપ.”

દેવી અાનંદની સરણીપર પગથીયું ચ્હડીઃ– "અલક ક્‌હેતી હતી કે કુમુદસુંદરીએ માળીપાસે મહાદેવના બાગની શોભા અહુણાં અહુણાંમાં બહુ વધરાવી છે.”

“આપણે બીજું ખરચ પણ કરવું છે. કુમુદ સમજે છે ઠીક. એમની અને અલકની ઈચ્છા પ્રમાણે સઉ કરાવવું.”

“હાસ્તો. ભોગ વૈભવ તો બાળકના જ કની !”

આમ દમ્પતી પરસ્પર આનંદ વધારતાં હતાં અને આનંદની પરિસીમા અાવવાની હોય તેમ બુદ્ધિધન તેના ભણી સ્નિગ્ધ લોચનભર્યો જોઈ રહ્યો હતો એવામાં દેવીનાં અંગ ઉપરથી જ કળી ગયો કે મ્હારા કુળમાં વૃદ્ધિ થવાનો સંભવ છે – દેવીની લજજા ઉપરથી જ અા વીશે તેની ખાતરી થઈ અાટલા મ્હોટાં સુપુત્ર થવા યોગ્ય બાળકોની દ્રષ્ટિ અાગળ અા ગુપ્તિનો પ્રકાશ અતિશય લજજાકર થશે એ વિચારે દેવીના આનંદમાં રમણીય અમુઝણ ભેળવી. આર્ય પત્નીએ ૨મણીય કારણ ભરી ૨મણીય ઈચ્છા દર્શાવી અને પત્નીવ્રત આર્યે સ્વીકારી કે “હવેથી ઘરને વન ગણી વાનપ્રસ્થ ધર્મ જ પાળવો ! ગૃહસ્થાશ્રમ યુવાન બાળકોને જ સોંપી દેવો !” આ ઈચ્છાનો સ્વીકાર થતાં સૌભાગ્યદેવી આનંદના શિખર પર ચ્હડી.[૧] અર્થ માત્ર પુરુષાર્થ છે, પણ કામ, ધર્મ અને મોક્ષ સ્ત્રીપુરુષ ઉભયને અર્થે છે. સૌભાગ્યદેવીનો કામાર્થ પુરો થયો – કન્યાવસ્થામાંથી મુગ્ધાવસ્થામાં આવતાં તેના મનમાં રમ્ય ઉલ્લાસ થયો હતો – તેમ અાજ યુવાવસ્થાના રમણીય બંધનમાંથી


  1. પશ્ચિમદેશમાં માલ્થસની શીખામણ પરાકાષ્ટાએ પણ જયવંત નીવડી નથી.