પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૬

કોઈથી સંપૂર્ણ સત્તા વપરાય નહીં. આથી નિરંકુશતા ઉપર અંકુશ રહે એ વાત ખરી–પણ સારા કાર્યમાં એ અંકુશ રહે એ અનિષ્ટ. સામા પક્ષનો વિશ્વાસ શી રીતે કરવો ? તેનો વિશ્વાસ કરતાં દયાને ડાકણે ખાધા જેવું થાય. લોકમાં નિર્બળતા ગણાય. સામા પક્ષવાળા પણ આપણી નિર્બળતા ગણે – ઉપકાર માનવો તો રહ્યો પણ નિર્બળ ગણી હસે, ખટપટ જારી રાખે, અને ભીતિનું કારણ સદૈવ ઉભું રહે. અકુલીન સ્ત્રી ગરીબ દેખાવના પતિને માન આપતી નથી તેમ આપણા પક્ષનાં – હાથ નીચેનાં – માણસો પણ પરપક્ષથી બ્‍હીતા દેખાતા ઉપરીનું મનમાં મન રાખતા નથી – પ્રસંગે પરપક્ષમાં પણ જાય છે. આ બધાનું પરિણામ શું થાય ? રાજ્ય કેવી રીતે ચાલે ? ઉભયપક્ષ પરસ્પરની રુખ રાખે ત્યારે ઉભયના અભિપ્રાય નકામા અને કાંઈ તૃતીય કાર્ય થાય – ૨ાજયનીતિ રાજયનિશ્ચિત રહે ! ત્યારે રાજયનું જોખમ કોને માથે રહે ? ગુણદોષનો આરોપ કોને માથે મુકાય ? ગુણમાં ઉભયપક્ષ ભાગીયા થાય; દોષ સર્વ પોતાને માથેથી ક્‌હાડી નાંખે અને અપૂર્ણ જોઈ શકનાર લોક દેખીતા ઉપરીને માથે જ નાંખે. કોનો અભિપ્રાય નિશ્ચિત ગણવો, કેઈ રાજનીતિ ચાલતી ગણવી, કોની પાસે અંત્ય ઉપાય માગવો એ સર્વ વિષયમાં પ્રજા બીચારી અંધકારમાં ર્‌હે ! – એકથી વધારે પક્ષનું રાજ્ય તે તો નક્કી પ્રજાપીડક જ થાય.

ત્યારે ઈંગ્રેજી વિદ્યા ભણેલાઓ ક્‌હે ક્‌હે કરે છે કે પક્ષ ર્‌હેવા જ ન જોઈએ – સર્વ પક્ષને સરખો જ અધિકાર જોઈએ એ શું ? એવું શા ઉપરથી ક્‌હે છે ? આ પ્રશ્ન બુદ્ધિધને પોતાના મનમાં પુછ્યો અને ઉત્તર ન મળતાં ઘણો જ ગુંચવારામાં પડ્યો. શું ઈંગ્રેજી રીતિમાં એ લોક કાંઈ એવું દેખે છે ? – પણ ઈંગ્રેજી રાજસભામાં શું છે? – એક જ પક્ષનું રાજય. અા પક્ષ ખરો તો બીજો નહી અને બીજો ખરો તો આ નહી. " હું ધારું છું કે એ લોક માત્ર અનુભવવિનાની – વિચાર વગરની - વાતો કરે છે, માત્ર બોલ્યું જ જાણે છે. ખરી વાત છે – મુંબાઈમાં હાલના સુધરેલા જમાનામાં એ જ વા વાયાં કરે છે કે જે પકડ્યું તે પકડ્યું – જે ભૂત ભરાયું તે ભરાયું – નીકળે નહી. ભૂત ભ૨વનાર જોઈએ. સાહેબ લોક આપણે જોયા તે તો કાંઈ અાવા નથી હોતા – આ લોક કોણ જાણે કયાંથી આવું શીખ્યા ? ન હીંદુમાં – ન ઈંગ્રેજમાં. પણ અા નવીનચંદ્ર કાંઈક વિચાર કરનાર છે ખરો. એના કહેવા પ્રમાણે વીલાયતમાં પક્ષ અને વિશ્વાસ બંધાય છે તે અભિપ્રાય અને વિશ્વાસ પ્રમાણે, અને આપણામાં સંબંધ પ્રમાણે; પણ એમાંયે એક વાત છે. વીલાયતમાં પોતાનો એક અભિપ્રાય હોવા છતાં પોતાના પક્ષને બીજો અભિપ્રાય હોય તો તેને ટેકો અપાય છે એવું બસ્કિન્ સાહેબ ક્‌હેતા હતા.