પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૧

પ્રતિસ્પર્ધી અમાત્ય ઉપર રાણો દિવસે દિવસે વધારે પ્રીતિ દેખાડે છે એવી જનચર્ચા, અને પર્વતસિંહના દ્વષ્ટાંત ઉપરથી શઠરાય ખુન કરતાં ડરે એવો નથી એ અપવાદઃ આ સર્વે વાર્ત્તા ઉપરથી સર્વનાં મનમાં એક જ અનિવાર્ય અનુમાન થાય એવું હતું અને કોઈ જડ મસ્તિક અનુમાન ન કરી શકે તો મેરુલાની સૂચનાઓ જોઈએ એવી સ્પષ્ટ હતી. આ સર્વ પ્રકરણનો કવિ રચનાને અંતે અંતઃકરણમાં ઉપસંહાર કરી દેખાતા દોષનું નિવારણ કરવા લાગ્યો. “ દેખે તેવું અનુમાન લોક કરે તો હું શું કરું ? આ સર્વ ગોઠવણ જ કરવામાં હું કાંઈ દોષ કરતો નથી. કોઈની પાસે કાંઈ નિન્દા કર્મ કરાવતો નથી – અસત્ય ભાષણ ક્‌હડાવતો નથી. માત્ર ખાડો ખોદનારને તેમાં પડવાની સુગમતા કરી આપું છું – અને તે પણ મ્હારા પ્રાણના રક્ષણને અર્થે – મ્હારા કુટુંબના રક્ષણને અર્થે – મ્હારા યોગ્ય વૈરના તર્પણને અર્થે – મ્હારા રાણાની ઈચ્છા પુરી ક૨વાને – તેની જ આજ્ઞા પાળવા હું આટલું કરું છું. શઠરાયનાં જ પાપની દ્વારભૂત સુરંગમાં શઠરાયનાં માણસને મુકી જગતની દૃષ્ટિએ પાડું એમાં દેાષ શો ? સારવાનો અર્થ સર્યો એટલે કોઈને હવે નકામી શિક્ષા કરાવવી એ દેાષ હું વહોરતો નથી. ઈશ્વર, તું જુએ છે કે હું ત્હારો અપરાધી નથી થતો.” આ પ્રમાણે અમાત્ય બળાત્કારે અંતઃકરણને શાંત કરી દેતો હતો અને ઈશ્વરને ફોસલાવવા પ્રયત્ન કરતો હતો. “ એમ કરતાં પણ મ્હેં કાંઈ દોષ કર્યો હોય તો હવે કોઈને શિક્ષા નહી ખમવા દેઉં – એ જ મ્હારું પ્રાયશ્વિત્ત.” “આજ શઠરાયની વ્હલે તે કોઈ દિવસ આપણી; ક્ષમા આજ રાખીશું તો કોઈ પ્રસંગે માગી શકીશું ! રાજાઓનો વિશ્વાસ કયાં સુધી ?” આવી રીતે કારભાર-સમુદ્રમાં વિશુદ્ધિનૌકા ખેડતો બુદ્ધિધન ચારે પાસ હલેસાં મારતો હતો; અશુદ્ધ ખારું પાણી પાછળ ધકેલાતું હતું તે છતાં કદી કદી નૌકામાં ભરાતાં તેને ઉલેચવા પ્રયત્ન કરતો હતો, અને એવા પાણીમાં ધક્કા ખાઈ પોતાનો માર્ગ કરતો હતો. એની નીતિને દિગ્દર્શન આપવામાં અદૃષ્ટ અને દૃષ્ટ અનેક વસ્તુઓ આમ કારણભૂત થઈ પડતી હતી. કોઈને તેની કલ્પના પણ ન હતી – માણસનાં મસ્તિક અને અંત:કરણ ઈશ્વરે પારદર્શક નથી કર્યાં એમાં એણે કાંઈ શુભ પરિણામ જ વિચાર્યું હશે. શુદ્ધ આત્મા અને મલિન દેહ - ઉભયની અર્ધ - દૃષ્ટ અર્ધ-અદૃષ્ટ એકત્ર ઘટના ચર્મચક્ષુથી અગમ્ય છે તે સદર્થે જ. સુજ્ઞ ! શુદ્ધિ અને મલિનતા - એ ભેદ, માનવીની સૃષ્ટિ છે - ઈશ્વરના અંત્ય ઘરનો નથી. પૃથ્વી છોડી કે પૂર્વ પશ્ચિમ નથી. જે સૃષ્ટિમાં તું ઉભો હોય તેનાં દેશકાલ સ્વીકાર. વ્યવહારમાં ઉભો ૨હી ભેદમયી શુદ્ધિશોધક વ્યવહાર દૃષ્ટિ રાખ અને પરમાર્થમાં ઉભો ૨હી અનવચ્છિન્ન પરમાર્થ દૃષ્ટિ રાખ. જાગૃતદશાના