પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

એના પરથી તો મ્હારો ભાવ ઉઠી ગયો છે.–” બુદ્ધિધને ઉત્તર આપ્યો –“ એના ઉપરથી ઉઠી ગયો – ત્યારે આના ઉપર કેમ ર્‌હેશે ? ”

“પિતાજી, બેમાં ફેર છે. કાળકા તો રાંડ નઠારી છે. વનલીલાપર તો ભાભીનાયે ચારે હાથ છે. ના, આટલું તો મ્હારું કર્યા વિના નહી ચાલે !”

“ભાભીનું નામ દે છે ત્યારે તો જોઈશું – જા !” કરી હસતો હસતો બુદ્ધિધન ચાલ્યો હતો. અત્યારે દાદર પર ચ્‍હડતાં આ સર્વ વાત સાંભરી અને નવીનચંદ્રે ના કહેલી જગા કોને આપવી તે સુઝતું ન હતું તે સુઝી આવ્યુંઃ દાદર પર ચ્‍હડતાં ચ્‍હડતાં સૌભાગ્યદેવી મનમાં આવતાં મન પાછું શુદ્ધ બનતું હોય તેમ બુદ્ધિધન બોલ્યો:

“ નવીનચંદ્ર, તમે જવાનો વિચાર રાખ્યો તે ઘરમાં તો કોઈને નહી ગમે – પ્‍હેલી તો અલક જ મ્હારી જોડે વ્‍હડશે કે કેમ જવા દ્યો છો ? ”

“હાજી. હું પણ કોઈની પ્રીતિ વીસ૨ના૨ નથી. હું મ્હારા ઘરમાં રહ્યો હઉં તેમ સર્વેયે મ્હારી આગતાસ્વાગતા કરી છે. પણ શું કરીયે ? અાવ્યું તે જવાને.”

દાદર આગળ સમરસેન બેઠો હતો તેને છેક ઉપર ચ્‍હડયા પછી બોલાવી બુદ્ધિધને આજ્ઞા કરી:

“સમરસેન, આજ વિદ્યાચતુરનો પત્ર આવ્યો છે તેમાં લખે છે કે મુંબાઈથી એક ચંદ્રકાંત નામના ગૃહસ્થ અત્રે આવનાર છે. ઘણું કરી કાલે સવારે આવી પહોંચશે. હું દરબારમાં , હઈશ માટે ઘેર અાવે તો સંભાળ રાખજો બરાબર.”

નવીનચંદ્ર સાંભળી રહ્યો, વિચારમાં પડ્યો, અને બોલ્યો: “ભાઈ સાહેબ, હું એમને કાંઈક ઓળખું છું. રત્નનગરીથી આવવાનો માર્ગ તો રાજેશ્વરભણીથી જ છે ને ? ”

“હા, પણ કાંઈ કીયે વખતે આવશે તે નક્કી નથી – નીકર તો કોઈને રાખત ત્યાં.”

“હું જ જઈશ. જમવા વખતે ઘેર આવી જઈશ.”

“કાંઈ જરુર નથી – કયાં સુધી ત્યાં બેસી રહેશો ?”

એમ કરતાં કરતાં બે જણ જુદા પડ્યા. નવીન વિચારમાં પડી નવીનચંદ્ર પોતાના ખંડમાં ધીમે ધીમે ગયો, દ્વાર વાસ્યાં, અને મધ્યરાત્રિના બાર વાગવા આવ્યા હતા તે છતાં નિદ્રા ન આવવાથી, એક બારી ઉઘાડી,