તરફથી વાંધો નહી પડે. આપણે કન્યાને મદદ કરવી છે. જુવો તો ખરાં કે ખાચર શું કરે છે તે. પ્રધાનને અને બધાંને પુછીશું.”
અંતે કમળા સાંઝ સુધી પિતાને ઉતારે ગઈ નહી ત્યારે એને ખાચરને ત્યાંથી તેડાં ઉપર તેડાં આવ્યાં. તેના ઉત્તરમાં એણે માત્ર એક જ બોલ કહ્યો કે: “પિતાજીને કહો કે મ્હારા સમાચાર ન્હાની મા ક્હેશે - હું તો જેને વરી ચુકી છું તેને વરી – તેનું ઘર મુકી હું શી રીતે બ્હાર આવું? – મ્હારા સ્વામી તરફથી તમારે ત્યાં આવવા મનાઈ નથી – પણ મને ઠીક લાગશે ત્યારે હું આવીશ –” ઇત્યાદિ ઇત્યાદિ.
આ સમાચારથી ખાચર પ્રથમ તો ખુબ ખીજાયો. બધી વાત સાંભળી જાતે મલ્લરાજને મળી ફરીયાદ કરી. મલ્લરાજે ધૈર્યથી સર્વ વાત સાંભળી અંતે ખડખડ હશી પડ્યો.
“રાણાજી, આમાં આપની પુત્રીની પણ સંમતિ દેખાય છે.”
ખાચર – “મહારાજ, એમ હશે – ત્હોયે શું – આ તો બે જણે મળી મને છેતર્યો !”
મલ્લરાજ - “આપને બાળકોએ છેતર્યા ! અરરરરર ! રાણાજી, આ વાત કોઈને ક્હેશો નહી !”
ખાચર – “આપને આપના પુત્રનો દોષ વસતો નથી ! – પણ મ્હારે ઉપાય કરવો પડશે !”
મલ્લરાજ - “રાણાજી, શાંતિ અને સત્વગુણ ધરો તો કહું.”
ખાચર – “ચાલો, ધરું છું.”
મલ્લરાજ – “તો કહો. બાળકોએ કામ કર્યું, તમને છેતર્યા તો મને પણ આજ સુધી મણિરાજે પુછયું નથી. એ બધું થયું પણ તેમણે યોગ્ય જોડું બાંધ્યું છે કે અયોગ્ય?”
ખાચર – “અયોગ્ય.”
મલ્લરાજ – “શી રીતે?”
ખાચર – “પ્રથમ તો મણિરાજને અસ્ત્રની લક્ષ્યસિદ્ધિ નથી ને મ્હારી પુત્રીને છે.”
મલ્લરાજ – “બીજું ?”
ખાચર – “મણિરાજ-ભોળા છે, એને કપટ વિદ્યાની કુશળતા નથી.”
મલ્લરાજ – “ત્રીજું ?”