પૃષ્ઠ:Saraswati Chandra Part 4.pdf/૧૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪


“તમારો પત્ર પ્હોચ્યો. સરસ્વતીચંદ્રે પોતાના દ્રવ્યથી, પોતાની વિદ્યાથી, પોતાના ઉત્સાહથી, અને પોતાના શ્રમથી આપણી નગરીના સર્વ સાક્ષરમંડળને અને સર્વ દેશવત્સલોને ઉપકારવશ કરી દીધેલા હતા એટલું કહી બેસી રહીયે તો તેના મૂલ્યના વર્ણનમાં ન્યૂનતા આવી જાયછે. ઉપકાર કરવો એ તો ગમે તે સત્પુરુષ કરી શકે છે. પણ આપણો મિત્ર તો આપણાં સર્વ કાર્યોમાં પરોવાઈ ગયો હતો - ગુરુત્વાકર્ષણ સર્વ પરમાણુઓમાં પરોવાઈ જાય તેમ. દેશમાં વિદ્વાનો જોઈએ છીએ, દેશવત્સલ પુરુષો જોઈએ છીયે, શ્રીમાન્ પુરુષો જોઈએ છીયે, વિચારકો જોઈએ છીયે, ઉત્સાહકો જોઈએ છીયે, કાર્યગ્રાહી પુરૂષો જોઈએ છીયે, સુધારકો જોઈએ છીયે, લોકવર્ગના પ્રીતિપાત્ર જનો જોઈએ છીયે, ઈંગ્રેજોના પ્રીતિપાત્રજનો જોઈએ છીએ, ઉદરચિંતાથી મુક્ત અને અવકાશવાળા જોઈએ છીયે, અને બીજું ઘણું ઘણું જોઈયે છીયે. એટલું જ બસ નથી. કારણ શ્રીમાન્ હોય ને પરોપકારી પણ હોય નહી અને વિદ્વાન પણ હોય નહી તે શા કામનો ? વિદ્વાન હોય ને ઘરમાં તુમ્બીપાત્ર વસાવવા રાત્રિ દિવસ તેને મથવું પડતું હોય તે શા કામનો ? દુ:ખી નર્મદ કહી ગયો છે કે

“પછી શું કરવું કાલ,
“કુટુમ્બના એવા જ્યાં હાલ?
“અફાળ બુદ્ધિનેત્ર વિશાળ !”
“દલપતરામ પણ ગાઈ ગયા છે કે
“ભાઈઓ જેની ભારજા ભુંડી રે
“તેને શિર આપદ ઉંડી રે.
“નવલરામે ગાયું છે કે
“ભાઈ તો ભૂગોળ ને ખગોળમાં રમે છે;
“પેલીનું તો ચિત્ત ચુલામાંહ્ય ?
“દેશી ! ક્‌હોની કેવું આ કજોડું તે ક્‌હેવાય?

“માટે આપણે તો સર્વ ક્ષુદ્ર ચિન્તાઓથી મુકત અને સર્વ દેશકાર્યોની ઉદ્ભાવક વૃત્તિયોથી અને શક્તિઓથી સમૃદ્ધ સમર્થ શ્રીમાન્ વિદ્વાનો જોઈયે છીયે, અને એ આશાને કેટલેક અંશે સિદ્ધ કરે એવું દૈવત લક્ષ્મીનંદનના ઘરમાં સિદ્ધ થવા આવતાં હાથમાંથી જતું રહ્યું ! આહા ! કુમુદસુંદરી જેવાં રત્નને તેને યોગ થવા